દાહોદ રેલવે સ્ટેશન માટે નવું આયોજન, ઇન્દોર લાઇનથી ગુડ્સ કોરિડોર સુધી બદલાશે વ્યવસ્થા.!

રેલવે સ્ટેશનમાં આવનારા સમયમાં મોટા ફેરફારોની તૈયારી, ટ્રેક અને પ્લેટફોર્મ વ્યવસ્થામાં થશે બદલાવ.!

દાહોદ રેલવે સ્ટેશન પર આવનારા સમયમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે. રેલવે વિભાગ દ્વારા સ્ટેશનના ટ્રેક અને પ્લેટફોર્મના વધુ સુવ્યવસ્થિત ઉપયોગ માટે આયોજન પર કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, ભવિષ્યમાં ઇન્દોરદાહોદ રેલ લાઇન માટે પ્લેટફોર્મ નંબર૧ અનામત રાખવાની યોજના છે. જ્યારે પ્લેટફોર્મ નંબર૧ની નજીક આવેલા ટ્રેક નંબર૨ અને ૩ નો ઉપયોગ યાર્ડ અથવા ટ્રેન પાર્કિંગ માટે કરવામાં આવી શકે છે. તે ઉપરાંત પ્લેટફોર્મ નંબર૨ અને ૩ સાથે જોડાયેલા ટ્રેક નંબર૪ અને ૫ ને પેસેન્જર ટ્રેનોના સંચાલન માટે ફાળવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેલવેના સંભવિત આયોજન મુજબ ટ્રેક નંબર૬ અને ૭ નો ઉપયોગ ગુડ્સ ફ્રેઇટ કોરિડોર માટે કરવામાં આવશે, જેથી માલગાડીઓના સંચાલનને વધુ સુગમ બનાવી શકાય તેમ છે. જ્યારે પ્લેટફોર્મ નંબર૪ સાથે જોડાયેલા ટ્રેક નંબર-૮ નો ઉપયોગ મુંબઈથી ઇન્દોર તરફ જતી ટ્રેનો તેમજMEMU, DEMU અને ઇન્ટરસિટી જેવી મુસાફર ટ્રેનોના સંચાલન માટે થવાની શક્યતા છે. જો આ આયોજન અમલમાં આવશે તો દાહોદ રેલવે સ્ટેશન પર ટ્રેનોના સંચાલનમાં વધુ સુવ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો અને મુસાફરોને વધુ સુવિધા મળી શકે છે. જોકે, હાલ આ આયોજન પર કામ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે અને સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.