દાહોદ નવજીવન મીલથી પરેલ જવાના મુખ્ય માર્ગ પર ગટરના ચેમ્બરની ઈંટો નીકળી ભુવો પડતા રાહદારી અને વાહનચાલકોને અકસ્માતનો ભય

દાહોદના નવજીવન મીલથી પરેલ તરફ જતા મુખ્ય માર્ગ પર નીલમ સોસાયટી નજીક સ્માર્ટ સિટી અંતર્ગત બનાવેલી અંડરગ્રાઉન્ડ ગટરની ચેમ્બર અચાનક ધસી પડતા રસ્તામાં મોટો ખાડો સર્જાયો છે. ચેમ્બરનો સપાટ ભાગ એક બાજુ ખસી ગયો છે. અને નીચેની ઈંટો બહાર આવી જતારસ્તો ધસારો પામી ગયો છે. આ માર્ગ આખો દિવસ નાના વાહનો, સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ અને પગપાળા ચાલકોની અવરજવરથી ભરેલો રહે છે. આવી સ્થિતિમાં ચેમ્બર તુટી જવાથી કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. એવી દહેશત સ્થાનિકોમાં જોવા મળી રહી છે. સ્થાનિક રહેવાસીઓનુ કહેવુ છે કે, સ્માર્ટ સિટી યોજના અંતર્ગત હલકી કક્ષાનુ મટીરીયલ વાપરી બાંધકામ કરવામાં આવતા જલ્દી ખામી સર્જાય છે. અને આ ધટના તેનુ તાજુ ઉદાહરણ છે. જો સમયસર મરામત અથવા તો બેરિકેટિંગ કરવામાં નહિ આવે તો ટુ-વ્હિલર ચાલકો અથવા વિદ્યાર્થીઓને જાનહાનિ થઈ શકે તેમ છે.