
વહેલી સવારે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પુણે-સતારા હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત અને બે ગંભીર રીતે ઘાયલ થયા. શિરવાલ નજીક એક ઝડપી ગતિએ આવતી ટાટા નેક્સન કાર કાબુ ગુમાવી ડિવાઇડર પાર કરીને સામેથી આવી રહેલી આઇશર ટ્રક સાથે અથડાઈ. ટક્કર એટલી ગંભીર હતી કે કારને ભારે નુકસાન થયું. કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.
મંગળવારે સવારે ૧ઃ૧૫ વાગ્યે શિરવાલમાં હોટલ શિવાલય સામે અકસ્માત થયો હતો. કાર સતારા તરફ જઈ રહી હતી. મૃતકોની ઓળખ વેદાંત વારિંગે, સોનલિંગ ઠાકુર, આદિત્ય ગરુડ અને નિખિલ રાઉત તરીકે થઈ છે. બધા મૃતકો માવલ અને તલેગાંવ દાભાડે વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે. અકસ્માતમાં બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણપણે નાશ પામી હતી. અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી, ટ્રાફિક જામ દૂર કર્યો, મૃતકોની ઓળખ કરી અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.
બીજી તરફ, મધ્યપ્રદેશના રાજગઢમાં થયેલા અકસ્માતે એક આખા પરિવારને બરબાદ કરી દીધો. અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ લોકોના મૃતદેહ ગઈકાલે મોડી રાત્રે સતવાસ લાવવામાં આવ્યા હતા. બધા મૃતદેહોને સતવાસ સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
સતવાસ પહોંચતાની સાથે જ ધનસાડ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો. એક જ પરિવારના નવ સભ્યોના મૃત્યુના સમાચારથી પરિવારના સભ્યો અને ગ્રામજનોને દુઃખ થયું. મૃતદેહોને જાઈને ઘટનાસ્થળે હાજર લોકોની આંખોમાં આંસુ આવી ગયા અને વાતાવરણ ખૂબ જ શોકમય બની ગયું.
માહિતી મુજબ, મંગળવારે સવારે ૯ વાગ્યે કિટ્ટીના નર્મદા ઘાટ પર તમામ નવ મૃતકોના સામૂહિક અગ્નિસંસ્કાર કરવામાં આવશે. પરિવારના નવ સભ્યોની અંતિમ વિદાયથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.