પાવાગઢમાં ૧૦ થી ૧૨ બાળકો પરિવારથી વિખૂટા પડતા પોલીસ અને દુકાનદારોએ વાલીઓ સાથે મિલન કરાવ્યું

વિશ્ર્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે દર્શનાર્થે આવેલા ૧૦ થી ૧૨ બાળકો પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. પાવાગઢ પોલીસ અને સ્થાનિક દુકાનદારોના સંયુક્ત પ્રયાસો તથા વોટ્સએપ ગ્રુપના માધ્યમથી તમામ બાળકોને સુરક્ષિત રીતે તેમના વાલીઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

પાવાગઢ ડુંગર પર દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. ભીડને કારણે નાના બાળકો ઘણીવાર પરિવારથી અલગ પડી જાય છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાવાગઢ પોલીસ અને સ્થાનિક દુકાનદારો દ્વારા એક વિશેષ વોટ્સએપ ગ્રુપ ચલાવવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા ખોવાયેલા બાળકો અને યાત્રિકોની અન્ય સમસ્યાઓ અંગે તાત્કાલિક માહિતીની આપ-લે થાય છે.

રવિવારે દર્શન દરમિયાન જ્યારે ૧૦ થી ૧૨ બાળકો પરિવારજનોથી વિખૂટા પડ્યા, ત્યારે સ્થાનિક દુકાનદારોએ તેમને પોતાની દુકાનમાં સુરક્ષિત રાખ્યા હતા. ત્યારબાદ બાળકોના ફોટોગ્રાફ્સ અને વિગતો વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવી હતી. બીજી તરફ બાળકોને શોધી રહેલા વાલીઓને પણ આ ગ્રુપ મારફતે બાળક ક્યાં સ્થળે છે, તેની માહિતી ઝડપથી મળી રહેતી હતી.

આ ઘટનાઓ પૈકી એક મૂંગો બાળક પણ પરિવારથી અલગ પડી ગયો હતો. બાળક પોતાની ઓળખ આપી શકતો ન હોવાથી તેને પાવાગઢ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. બાળકના માતા-પિતાએ હાલોલ ટાઉન પોલીસમાં ગુમ થયાની અરજી નોંધાવી હતી. બંને પોલીસ મથકો વચ્ચેના સંકલન અને માહિતીના આધારે બાળકની ઓળખ થઈ અને તેને સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો.

આ સમગ્ર કામગીરી દરમિયાન પાવાગઢ પોલીસ અને સ્થાનિક વેપારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. યાત્રાધામ ખાતે ચાલતું આ વોટ્સએપ ગ્રુપ શ્રદ્ધાળુઓ માટે અત્યંત મદદ‚પ સાબિત થઈ રહ્યું છે, જે પોલીસ અને સ્થાનિક સમુદાય વચ્ચેના ઉત્તમ સંકલનનું ઉદાહરણ પૂ‚ં પાડે છે.