બહાદરપુરના શિક્ષક કિરીટકુમાર સમાયાને PHD પદવી મળી : સરદાર પટેલ યુનિવર્સિટીએ શિક્ષણ સહાયકોની સમસ્યાઓ પર સંશોધન બદલ પદવી આપવામાં આવી

છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર સ્થિત ડી.એસ. હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષક કિરીટકુમાર એ. સમાયાએ શિક્ષણમાં પીએચ.ડી.ની પદવી મેળવી છે. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિધાનગર દ્વારા તેમને આ ડિગ્રી એનાયત કરવામાં આવ છે.

સમાયાએ ચાલુ નોકરી દરમિયાન એમ.એડ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શિક્ષણ પ્રત્યેની તેમની રૂચિ અને સતત અભ્યાસની ધગશને કારણે તેમણે આ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી છે. તેઓ શાળામાં શૈક્ષણિક ફરજ ઉપરાંત વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કૌશલ્યોને બહાર લાવવા માટે વિવિધ ઇતર પ્રવૃત્તિઓ પણ કરાવે છે. તેમણે એસ. આઈ. પટેલ ઇપ્કોવાલા કોલેજ ઓફ એજ્યુકેશન, પેટલાદના એસોસિયેટ પ્રોફેસર ડો. યોગેશકુમાર આર. પરમારના માર્ગદર્શન હેઠળ સંશોધન કર્યું હતું. તેમનો સંશોધન થીસીસ “ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકોની સમસ્યાઓ પર અભ્યાસ” શીર્ષક હેઠળ હતો. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિધાનગર, જી. આણંદ દ્વારા તેમના સંશોધન થીસીસને સ્વીકૃતિ આપીને તેમને ડોક્ટર ઓફ ફિલોસોફી (પીએચ.ડી.)ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવારે કિરીટકુમાર એ. સમાયાને અભિનંદન પાઠવી તેમની વધુ પ્રગતિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.