દાહોદમાં આદિવાસી રેલી પર AAP-ભાજપ વચ્ચે રાજકારણ:ચૈતર વસાવા પ્રત્યે સમાજનો સ્નેહ અને સ્વયંભૂ સમર્થન,પવિત્ર ઉત્સવને રાજકીય રંગ ન આપવા અઅઙની આકરી અપીલ

ચૈતર વસાવા પ્રત્યે સમાજનો સ્નેહ અને સ્વયંભૂ સમર્થન,પવિત્ર ઉત્સવને રાજકીય રંગ ન આપવા AAPની આકરી અપીલ

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન નીકળેલી રેલીને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. આ રેલીમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પોસ્ટરો પ્રદર્શિત કરાતા આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) સામસામે આવી ગયા છે. AAPના દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારીઆએ ભાજપ પર પક્ષને બદનામ કરવાનું કાવતરું રચવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા એક મોટી રેલીનું આયોજન થયું હતું. આ સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા જેલમાં હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી હતી. રેલી દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ચૈતર વસાવાના સમર્થનમાં પોસ્ટરો અને બેનરો પ્રદર્શિત કર્યા હતા.

આ ઘટનાક્રમ બાદ રાજકીય ગરમાવો આવ્યો હતો. ભાજપના નેતાઓએ પોલીસને માધ્યમ બનાવીને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે રેલીમાં ચૈતર વસાવાના બેનરો લઈને આવેલા લોકો આમ આદમી પાર્ટીના કાર્યકરો હતા.આ આક્ષેપોને સદંતર ફગાવતા રાકેશ બારીઆએ સ્પષ્ટતા કરી હતી કે આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યકર કે સમર્થક સત્તાવાર રીતે રેલીમાં પોસ્ટરો લઈને ગયા ન હતા. તેમણે જણાવ્યું કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પહેલાંથી જ આદિવાસી સમાજનું સંગઠન ઊભું કરી ચૂક્યા છે અને દાહોદ જિલ્લામાં તેમના સમર્થકો કોઈપણ ચોક્કસ પક્ષની સીમાઓથી પર છે. ચૈતર વસાવા પ્રત્યે સ્નેહ અને આદર ધરાવતા સમાજના આમ જનતાના લોકો જ સ્વેચ્છાએ તેમના પોસ્ટરો લઈને રેલીમાં જોડાયા હતા.

રાકેશ બારીઆએ ઉમેર્યું કે રેલીમાં સમર્થકોની ઉપસ્થિતિ જોઈને ભાજપના નેતાઓની ચિંતા વધી ગઈ હતી. પોલીસ પાસે આ સમગ્ર ઘટનાના વિડિયો પુરાવા પણ ઉપલબ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી પરંપરાગત રેલીઓ કાઢવામાં આવે છે, પરંતુ હાલના સંજોગોમાં રાજકીય હેતુસર આમ આદમી પાર્ટીનું નામ જાણી જોઈને બદનામ કરવામાં આવી રહ્યું છે, જે અત્યંત નિંદનીય છે.

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે અંતમાં અપીલ કરી હતી કે સમાજના પવિત્ર ઉત્સવને રાજકીય રંગ આપીને ખોટી અફવાઓ ફેલાવવાનું તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. તેમણે જણાવ્યું કે પક્ષને લક્ષ્ય બનાવીને રચવામાં આવી રહેલા આ રાજકીય કાવતરાને આદિવાસી સમાજ અને જનતા સારી રીતે ઓળખે છે અને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા તાકીદ કરી હતી.