ફિક્સ પગારવાળા કર્મચારીઓ માટે ખુશખબર, ચાર્જ એલાઉન્સ મળશે!

ગુજરાત સરકારના વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં ફિક્સ પગાર વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓને વધારાના કામ માટે ચાર્જ એલાઉન્સ મળશે. નાણા વિભાગે આ અંગે માહિતી આપતો પરિપત્ર બહાર પાડ્યો છે.

ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન છેલ્લા કેટલાક મહિનાઓથી આ મુદ્દા પર સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે, જેના પગલે નાણા વિભાગે તાજેતરમાં એક આદેશમાં સ્પષ્ટતા કરી છે કે ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧ પછી નિયુક્ત થયેલા અને હાલમાં ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓને વધારાની જવાબદારીઓ સોંપવામાં આવે તો તેમને પણ ૧૦% ચાર્જ એલાઉન્સ આપવામાં આવશે.

પહેલાં, આ લાભ ફક્ત કાયમી અથવા નિયમિત કર્મચારીઓને જ મળતો હતો, જેના કારણે ઘણા વર્ગ-૩ કર્મચારીઓ સાથે અન્યાય થતો હોવાની ફરિયાદો ઉઠી હતી. નાણા વિભાગે તમામ વિભાગો અને જિલ્લા કચેરીઓને તાત્કાલિક આ આદેશનો અમલ કરવા નિર્દેશ આપ્યો છે. આ સરકારના નિર્ણયથી રાજ્યના હજારો ફિક્સ પગાર કર્મચારીઓને સીધી નાણાકીય રાહત મળશે અને કામનો ઉત્સાહ વધશે તેવી અપેક્ષા છે.

આ નિર્ણયથી ફિક્સ પગાર કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. એસોસિએશનના જણાવ્યા મુજબ, સરકાર બાકી રહેલી પડતર માંગણીઓ પર ટૂંક સમયમાં નિર્ણય લેશે.