
મહેસાણા શહેરના સોમનાથ રોડ વિસ્તારમાં આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનામાં ગુરુવારે (૨ જુલાઈ) વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ-૭માં અભ્યાસ કરતી એક કિશોરીએ આવાસ યોજનાની બિલ્ડીંગના છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના સવારે અંદાજે ૭ વાગ્યાની આસપાસ બની હતી. કિશોરીએ આવાસ યોજનાની બિલ્ડીંગના છઠ્ઠા માળેથી ઝંપલાવ્યા બાદ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને ઇમરજન્સી સેવા ૧૦૮ને જાણ કરી હતી. પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં કિશોરીએ આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે પરિવારજનો અને સંબંધિત લોકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ અન્ય તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
પંડિત દીનદયાલ નગર એસોસિયેશનના પ્રમુખ કલ્પેશ રાઠોડના જણાવ્યા મુજબ, સવારે આશરે ૭ઃ૩૦ વાગ્યે ઘટનાની જાણ થઈ હતી. માહિતી મળતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ કિશોરીના માતા-પિતાને જાણ કરવામાં આવી અને પોલીસ તથા ૧૦૮ની ટીમે જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
પોલીસ હાલ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે. કિશોરીએ આટલું ગંભીર પગલું ભરવા પાછળનું કારણ શું હતું તે જાણવા માટે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.