
રાહુલ ગાંધીએ તાજેતરની ઘટનાઓને અસ્થિર પ્રદેશને વ્યાપક સંઘર્ષ તરફ ધકેલી રહી હોવાનું ગણાવ્યું અને ભારત પાસેથી “નૈતિક સ્પષ્ટતા”ની માંગ કરી
ઈરાન અને યુએસ-ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને સંભવિત મોટા જાખમો વચ્ચે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતની વિદેશ નીતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે તાજેતરની ઘટનાઓને “અસ્થિર પ્રદેશને વ્યાપક સંઘર્ષ તરફ ધકેલી રહી છે” ગણાવી અને ભારત પાસેથી “નૈતિક સ્પષ્ટતા”ની માંગણી કરી.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એકસ-પોસ્ટમાં લખ્યું, “અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ આ નાજુક પ્રદેશને સંપૂર્ણ પાયે સંઘર્ષ તરફ ધકેલી રહ્યા છે. લગભગ ૧૦ મિલિયન ભારતીયો સહિત લાખો લોકો અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.” સુરક્ષા ચિંતાઓ સાચી છે, પરંતુ સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરતા હુમલાઓ કટોકટીને વધુ વધારશે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે ઈરાન પર એકપક્ષીય હુમલાઓ તેમજ મધ્ય પૂર્વના અન્ય દેશો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓની નિંદા થવી જાઈએ. હિંસા હિંસાને જન્મ આપે છે – સંવાદ અને સંયમ એ શાંતિનો એકમાત્ર રસ્તો છે. ભારતે નૈતિક રીતે સ્પષ્ટ રહેવું જાઈએ. આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવ જીવનના બચાવમાં ખુલ્લેઆમ બોલવાની હિંમત હોવી જાઈએ.
તેમણે કહ્યું કે આપણી વિદેશ નીતિ સાર્વભૌમત્વ અને વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ પર આધારિત છે અને તે સુસંગત રહેવી જાઈએ. વડા પ્રધાન મોદીએ બોલવું જાઈએ. શું તેઓ વિશ્વ વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરવાના માર્ગ તરીકે રાજ્યના વડાની હત્યાને સમર્થન આપે છે? મૌન હવે ભારતની વૈશ્વિક સ્થિતિ ને ઘટાડે છે.
અગાઉ, કોંગ્રેસે ઈરાની ભૂમિ પર બોમ્બ વિસ્ફોટો અને લક્ષિત હત્યાઓની સ્પષ્ટપણે નિંદા કરી હતી, તેમને પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા માટે ખતરો ગણાવ્યો હતો. કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ભારતની વિદેશ નીતિ ઐતિહાસિક રીતે સાર્વભૌમ સમાનતા, બિન-હસ્તક્ષેપ અને શાંતિપૂર્ણ ઉકેલ જેવા સિદ્ધાંતો પર આધારિત રહી છે. વર્તમાન મૌન આ સિદ્ધાંતો સાથે અસંગત લાગે છે. સોનિયા ગાંધીએ કહ્યું કે આ મૌન તટસ્થતા નથી, પરંતુ જવાબદારીનો ત્યાગ છે. તેમણે કહ્યું કે આ ભારતની વિદેશ નીતિની દિશા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.