પોલીસ લાજવાના બદલે ગાજવાનું બંધ કરે, આગામી સમયમાં ખોટા લોકોના પટ્ટા ઉતરશે,પ્રતાપ દૂધાત

કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતે ગુજરાત સરકાર અને રાજ્યની પોલીસ સામે આકરા પ્રહારો કર્યા છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના નિવેદનના બચાવમાં આવીને દૂધાતે પોલીસને સીધી ચેલેન્જ આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પોલીસ લાજવાના બદલે ગાજવાનું બંધ કરે અને કેટલાક પોલીસવાળા સત્તાધારી પક્ષના એજન્ટ બની ગયા છે.

કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, કેટલાક પોલીસ અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવવાને બદલે સત્તાધારી પક્ષના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે, સત્તા આજે છે, કાલે નથી અને આવતા સમયમાં ખોટા લોકોના પટ્ટા ઉતરશે.

તેમણે પોલીસને પડકાર ફેંક્તા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસને હું ચેલેન્જ કરું છું, ડ્રગ માફિયાઓને પકડો તો હું પોલીસનું સન્માન કરીશ. તેમણે સવાલ કર્યો કે, દારૂ અને નશાના વિભાગ કોના હેઠળ આવે છે અને ડ્રગ્સ છોડાવવા માટે કેટલા આઈસોલેશન સેન્ટર બનાવ્યા છે? આ અંગે સરકારે શ્ર્વેત પત્ર બહાર પાડવો જોઈએ.

તાજેતરમાં પીઆઈ અને પીએસઆઈના પરિવારજનોને રસ્તા પર ઉતારવાના બનાવને લઈને પ્રતાપ દૂધાતે સરકારને ઘેરી છે. તેમણે સવાલ કર્યો છે કે, પોલીસ પરિવારને સરકાર રસ્તા પર ઉતારી શું સંદેશ આપે છે? આ ઉપરાંત, તેમણે સાવરકુંડલાની દીકરીના ન્યાયનો મુદ્દો પણ ઉઠાવ્યો અને પૂછ્યું કે સાવરકુંડલામાં દીકરીને ન્યાય અપાવ્યો છે ખરો?

પ્રતાપ દૂધાતે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, ઝૂમતું ગુજરાત નહીં, ગુજરાત આખું ડૂબી ગયું છે. તેમણે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ પર પણ પ્રહાર કર્યા અને કહ્યું કે, અમુક આઇપીએસ અધિકારીઓની કેટલી મિલક્ત છે અને આ મિલક્ત ક્યાંથી આવી, તે જાહેર થવું જોઈએ. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો પોલીસ પોતાની શાનમાં નહીં સમજે, તો કોંગ્રેસ જનતા રેડ પણ કરશે અને છેલ્લા સુધી લડત લડવામાં આવશે. તેમણે અંતમાં ઉમેર્યું કે, કોંગ્રેસ કોઈના બાપથી ડરતી નથી અને કાયદાનું જ્ઞાન ધરાવે છે. તેમણે પત્ર દ્વારા સરકારનું યાન દોરતા નીડર નેતા કુમારભાઈના વખાણ પણ કર્યા હતા.