પાટણમાં પેપરલીક મુદ્દે એબીવીપીનું ઉગ્ર આંદોલન, યુનિવર્સિટી ગેટ બહાર ચક્કાજામ

પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઝારખંડમાં પરીક્ષાના પેપર લીક થવાના મુદ્દા અને વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટી રોડ પર રસ્તો રોકીને ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન પોલીસે ૧૨ જેટલા આંદોલનકારી કાર્યકરોની અટકાયત કરી હતી

મળતી માહિતી મુજબ, ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસીની પરીક્ષાઓમાં પેપર લીક થવાના આક્ષેપોને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે એબીવીપી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઝારખંડમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

એબીવીપીના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં એબીવીપી દ્વારા દેશના વિવિધ સ્થળોએ વિરોધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

તેના ભાગરૂપે પાટણમાં પણ એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર એકત્ર થયા હતા. કાર્યકરોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો અને ઝારખંડ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધના કારણે યુનિવર્સિટી રોડ પર વાહનવ્યવહારને અસર થઈ હતી.

પાટણ વિભાગ સંયોજક રાહુલ દેસાઈએ આક્ષેપ કર્યો હતો કે, પેપર લીક જેવી ઘટનાઓથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે દમનકારી કાર્યવાહી કરી રહી છે.

એબીવીપીએ ઝારખંડ સરકાર સામે આકરા સવાલો ઉઠાવીને માંગ કરી છે કે, જો સરકાર સરકારી પરીક્ષાઓની પારદર્શિતા અને સુરક્ષા જાળવી શકતી ન હોય તો મુખ્યમંત્રી હેમંત સોરેનએ નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ.રસ્તા રોકો આંદોલનને પગલે યુનિવર્સિટી રોડ પર સ્થિતિ તંગ બનતાં પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યકરોને હટાવ્યા હતા. ત્યારબાદ પોલીસે ૧૨ આંદોલનકારીઓની અટકાયત કરી હતી. પોલીસે કાર્યવાહી કર્યા બાદ વાહનવ્યવહારને ફરી શરૂ કરાવ્યો હતો.