ગોધરામાં સંત શિરોમણી ગુરૂ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા.
આ કળશ યાત્રા સંતના જન્મસ્થાન અને ગંગાજીની પવિત્ર માટી સાથે નીકળી હતી. તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રામજી મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી.
રામજી મંદિર ખાતે કળશની વિધિવત્ સ્થાપના કરી આરતી-પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ તેનું વિસર્જન કરવામાં આવશે. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે, સંત શિરોમણી રવિદાસ મહારાજના વિચારો અને ઉપદેશ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક છે.
આ કળશ યાત્રામાં ગોધરા નગરપાલિકાના પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, ગોધરા નગર પ્રમુખ નિર્મિત દેસાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ નિશાંતભાઈ સોની તેમજ એપીએમસી (APMC) ચેરમેન માલવદીપસિંહ રાહુલજી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા.