સમય આવશે ત્યારે બધાને ખુલ્લા પાડીશ: દેડિયાપાડામાં મનસુખ વસાવાનો પોતાની જ પાર્ટીના કાર્યકરો પર આકરા પ્રહારો

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આવેલા જાનકી આશ્રમમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભરૂચ લોકસભા બેઠકના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો અને હોદ્દેદારો સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. તેમના નિવેદનોથી ભાજપના આંતરિક મતભેદો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.

બેઠક દરમિયાન મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચૂંટણી હોય કે સંગઠનના અન્ય કાર્યો, વિરોધી પક્ષો કરતાં પોતાની જ પાર્ટીના કેટલાક લોકો વધુ અડચણો ઉભી કરે છે. તેમણે જણાવ્યું કે કેટલાક લોકો સતત પક્ષ અને સંગઠનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે અને યોગ્ય સમય આવશે ત્યારે આવા તમામ લોકોને જાહેરમાં ખુલ્લા પાડવામાં આવશે.સાંસદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ કોઈ પદ કે હોદ્દાની ચિંતા કર્યા વિના જનતાની સામે હકીકતો રજૂ કરશે. તેમના નિવેદનને કારણે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

મનસુખ વસાવાએ બેઠક દરમિયાન વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારા અસામાજિક તત્ત્વોને કેટલાક રાજકીય લોકોનો આશ્રય મળી રહ્યો છે.તેમણે જણાવ્યું કે કેટલાક લોકો પોતાને સમાજસેવક તરીકે રજૂ કરે છે, પરંતુ વાસ્તવમાં તેઓ સમાજને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને સમાજે પણ આવા તત્ત્વો સામે જાગૃત રહેવું જોઈએ.

મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો કોઈપણ પક્ષ સાથે જોડાયેલા હોય, તેમની સામે તેઓ મૌન નહીં રહે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં જાહેરસભા યોજીને આવા લોકોના નામ અને તેમની પ્રવૃત્તિઓ વિશે લોકો સમક્ષ માહિતી મૂકાશે.તેમના નિવેદનોથી દેડિયાપાડા સહિત સમગ્ર નર્મદા અને ભરૂચ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. હવે આગામી દિવસોમાં મનસુખ વસાવા દ્વારા કરવામાં આવનારી કાર્યવાહી અને જાહેર ખુલાસાઓ પર સૌની નજર રહેશે.