
જેતપુર શહેરમાં ૫૩ કરોડના ખર્ચે બનેલા બ્રિજ બાદ સર્જાયેલી સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તંત્રએ હવે જનતા પર ’દંડો’ પછાડવાનું શરૂ કર્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. જેતપુર-ધોરાજી રોડ પરના જૂના રેલવે ફાટકને ફરી ખોલવાની માંગ સાથે આંદોલન કરી રહેલી સામાન્ય ગૃહિણીઓ અને શ્રમજીવી મહિલાઓ સામે પોલીસે કડક વલણ દાખવી ગુનો દાખલ કરતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે લોક આંદોલનોમાં અટકાયત બાદ મુક્તિ અપાતી હોય છે, પરંતુ અહીં પોલીસે જેતપુરની ૧૩ મહિલાઓ સામે બીએનએસની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.
બનાવની પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ અરસામાં જેતપુર-ધોરાજી રોડ પર નવા બ્રિજના છેડે, યશ વે-બ્રિજની સામે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી. આ મહિલાઓએ જાહેર રોડ પર બેસી જઈ રસ્તો બ્લોક કરી દીધો હતો. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આ રસ્તો સરકારી અને ખાનગી હોસ્પિટલો તરફ જવાનો મુખ્ય માર્ગ છે, તેથી દર્દીઓને તકલીફ પડે તેમ છે. છતાં મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અત્યારે જ રેલવે ફાટકની લોખંડની જાળી ખોલશે અને રસ્તો ખુલ્લો થશે તો જ અમે અહીંથી ઉભા થઈશું ત્યારે તંત્રએ તેમની વ્યથા સાંભળવાને બદલે કાયદાનો કોરડો વીંઝ્યો હતો.
મહિલાઓ પોતાની જીદ પર અડગ રહેતા અને ટ્રાફિક જામ સર્જાતા અંતે પોલીસે કાર્યવાહી કરી હતી. જેતપુર સીટી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ રસીલાબેન મકવાણાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૫ અને ૫૪ મુજબ ગુનો નોંયો છે. પોલીસે જેતપુરના અલગ-અલગ વિસ્તારોમાં રહેતી અને ઘરકામ તથા મજૂરી કરતી ૧૩ મહિલાઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ કાર્યવાહી બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ મહિલાઓ કોઈ પ્રોફેશનલ ગુનેગાર નથી પરંતુ પોતાના હક માટે લડતી ગૃહિણીઓ છે. પોતાની વાજબી માંગ માટે રસ્તા પર ઉતરવું એ લોકશાહીમાં હક છે, ત્યારે પોલીસે સમસ્યાનો હલ લાવવા પ્રયાસ કરવાને બદલે ગુનો નોંધીને અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોવાની લોકલાગણી પ્રવર્તી રહી છે.