દુમકામાં ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા, પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ પતિએ આત્મહત્યા કરી

ઝારખંડના દુમકા જિલ્લામાં આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. રવિવારે વહેલી સવારે ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. એક જ ઘરમાંથી પતિ, પત્ની અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં શોક છવાઈ ગયો છે. એવી શંકા છે કે પરિવારના વડાએ તેની પત્ની અને બે બાળકોનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના પાછળનું કારણ હાલમાં અજ્ઞાત છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આ ઘટના દુમકા જિલ્લાના હંસડીહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાનું જાણવા મળે છે. બરદાહી ગામમાં ચાર લોકોના મૃતદેહ એક્સાથે મળી આવ્યા હતા. હંસડીહા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તારાચંદે જણાવ્યું હતું કે, અમે ઘરમાંથી ચાર મૃતદેહ મેળવી લીધા છે. પ્રારંભિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે વ્યક્તિએ કથિત રીતે તેની પત્ની અને બે બાળકોનું ગળું દબાવીને હત્યા કરી હતી અને પછી આત્મહત્યા કરી હતી. તપાસ ચાલુ છે. તેમણે કહ્યું કે મૃતકોની ઓળખ વીરેન્દ્ર માંઝી (૩૦), તેની પત્ની આરતી કુમારી (૨૬), તેમની પુત્રી રૂહી કુમારી (૪) અને પુત્ર વિરાજ કુમાર (૨) તરીકે થઈ છે.

આ પહેલા શનિવારે સરાઈકેલા-ખરસાવન જિલ્લામાં એક અલગ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. લોખંડથી ભરેલું ડમ્પર ઈ-રિક્ષા પર પડી ગયું. ત્રણ લોકોના કચડાઈ જવાથી મોત થયા. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો. આ ઘટના રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચલીયામામાં બની હતી. રાજનગર પોલીસ સ્ટેશનના અધિકારી ચંચલ કુમારે જણાવ્યું હતું કે બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે અન્ય લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોમાંથી એકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.