“ખૂબ જ ખુશ છું કે ધ કાશ્મીર ફાઈલ્સને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.: મિથુન ચક્રવર્તી

મુંબઇ,

વર્ષ ૨૦૨૦ની બ્લોકબસ્ટર ફિલ્મોમાં સામેલ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ઓસ્કર ૨૦૨૩ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે, ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી. ફિલ્મને આટલી મોટી સફળતા મળ્યા પછી તે આ ફિલ્મમાં જોવા મળેલા અને બોલિવૂડના પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીએ જ્યુરી નાદવ લાપિડના ‘વલ્ગર અને પ્રોપેગંડા’ નિવેદન પર વળતો પ્રહાર કર્યો.

એક મીડિયા સાથેની વાતચીતમાં મિથુને કહ્યું, “ખૂબ જ ખુશ છું કે ધ કાશ્મીર ફાઈલ્સને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ફિલ્મને વલ્ગર અને પ્રોપેગન્ડા ગણાવનારા જ્યુરીને આજે તેનો જવાબ મળ્યો. લોકોને ફિલ્મ પસંદ આવી અને આ તેનું પરિણામ છે.” આગળ વાત કરતાં મિથુન ચક્રવર્તીએ કહ્યું, “હું કોઈ વિવાદાસ્પદ નિવેદન આપીશ નહીં . જ્યારે કેટલાક થિયેટરોમાં ફિલ્મને મંજૂરી આપવામાં આવી ન હતી ત્યારે તે દુ:ખની વાત હતી, પરંતુ ફિલ્મને ઓસ્કર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી.” વધુમાં, અભિનેતાએ અન્ય શોર્ટલિસ્ટ ફિલ્મો માટે પણ શુભેચ્છા પાઠવી હતી.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ઉપરાંત આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ ઇઇઇ, કંતારા અને ગુજરાતી છેલ્લો શોને પણ ઑસ્કર ૨૦૨૩ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ૨૦ નવેમ્બર ૨૦૨૨થી ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના ૫૩મા એડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ધ કાશ્મીર ફાઇલ્સ સહિત ઘણી ફિલ્મો પ્રદશત કરવામાં આવી હતી. ફિલ્મ ફેસ્ટિવલના છેલ્લા દિવસે એટલે કે ૨૮ નવેમ્બરના રોજ, ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નદાવ લાપિડે જે ફેસ્ટિવલની જ્યુરીના વડા હતા, તેમણે કહ્યું કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોયા પછી તેમને લાગ્યું કે આ એક વલ્ગર અને પ્રોપેગન્ડા ફિલ્મ છે. આ નિવેદન બાદ નાદવ લાપિડની પણ ઘણી ટીકા થઈ હતી.

નોંધપાત્ર રીતે કાશ્મીર ફાઇલ્સ ૧૧ માર્ચ ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. કાશ્મીરી પંડિતો પર આધારિત આ ફિલ્મને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો, સાથે જ આ ફિલ્મને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો. લગભગ ૧૫ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાંથી ૩૪૦ કરોડની કમાણી કરી હતી.