દાહોદ જીલ્લા કલેકટરની થેરકા ગામે આકસ્મિક મુલાકાત : ગ્રામપંચાયત દફતર તપાસણી

દાહોદ જીલ્લાના કલેકટર યોગેશ નીરગુડે દ્વારા ઝાલોદ તાલુકાના થેરકા ગામે આકસ્મિક મુલાકાત લઈને ગ્રામપંચાયત કચેરીની સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેકટરશ્રીએ તલાટી દ્વારા સંચાલિત દફતર, વિવિધ નોંધપોથી અને કામગીરીની સમીક્ષા કરી હતી.

કલેકટરએ ગ્રામપંચાયત કચેરી ખાતે ઉપસ્થિત અરજદારો સાથે સીધો સંવાદ સાધી તેમની અરજીઓ તથા કામકાજ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. તેમણે નાગરિકોને સમયસર અને પારદર્શક સેવાઓ આપવાની સૂચનાઓ આપતાં તંત્રને જવાબદારીપૂર્વક કામગીરી કરવા દિશાનિર્દેશ આપ્યા હતા.

જીલ્લા કલેકટરએ ઝાલોદ મામલતદાર કચેરીની વિવિધ શાખાના કર્મચારીઓને કાર્યક્ષમતા વધારવા અને પ્રજાને ઝડપી સેવા આપવા સૂચનાઓ આપી હતી. આકસ્મિક મુલાકાતથી તંત્રમાં સતર્કતા જોવા મળી હતી.

મુલાકાત દરમિયાન ઝાલોદ મામલતદારશ્રી એસ.એમ. પરમાર, ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી કે.એચ.ગઢવી, નાયબ મામલતદાર ચિરાગ અમલીયાર, થેરકા ગામના સરપંચ, ગ્રામપંચાયતનાં તલાટી કમ મંત્રી, તાલુકા પંચાયતના સર્કલ ઓફિસર તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.