
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લેઇંગ મળ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લેઇંગ ૩૦ મે થી ૨ જૂન સુધી ભારતની મુલાકાતે છે. બંને નેતાઓ રાષ્ટ્રીય રાજધાનીના હૈદરાબાદ હાઉસ ખાતે મળ્યા. મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ ભારત-મ્યાનમાર સંબંધો અને સહિયારા વિકાસ લક્ષ્યોને વધુ મજબૂત બનાવવા માટે અર્થપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટો કરી. રાષ્ટ્રપતિ તરીકે યુ મિન આંગ હ્લેઇંગની આ ભારતની પ્રથમ મુલાકાત છે. તેમની સાથે કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે.
આ પહેલાં, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે રવિવારે મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મીન આંગ હ્લેઇંગ સાથે મુલાકાત કરી હતી. “રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મીન આંગ હ્લેઇંગ સાથે મુલાકાત કરી હતી,” વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પોસ્ટમાં જણાવ્યું હતું. અગાઉ, વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટેના તેમના સકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી.
એકસ પરની એક પોસ્ટમાં, એસ. જયશંકરે કહ્યું હતું કે, “આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મીન આંગ હ્લેઇંગને મળીને મને આનંદ થયો. હું આપણા લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે તેમના સકારાત્મક અભિગમની પ્રશંસા કરું છું. શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણી ભાગીદારીને વધુ આગળ વધારવા માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાતની રાહ જાઉં છું.”
અગાઉ, મીન આંગ હ્લેઇંગ બોધગયામાં પોતાના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી પહોંચ્યા હતા. હ્લેઇંગ શનિવારે બિહારના બોધગયા પહોંચ્યા હતા, જ્યાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મ્યાનમાર સાથે ભારતના સભ્યતા અને આધ્યાત્મિક સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. પહોંચ્યા પછી તરત જ, રાષ્ટ્રપતિ મીન આંગ હ્લેઇંગે પવિત્ર મહાબોધિ મંદિર, એક મુખ્ય બૌદ્ધ તીર્થસ્થાન અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લીધી હતી.