ઝેલેન્સકી આ વર્ષના અંત સુધીમાં ભારતની મુલાકાત લઈ શકે છે

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી ભારતની મુલાકાત: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ૨૩ ઓગસ્ટના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના આમંત્રણ પર યુક્રેનની મુલાકાત લીધી હતી. ૧૯૯૨માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના થયા બાદ ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત હતી. પીએમ મોદીએ તેમની મુલાકાત દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝેલેન્સકી આ વર્ષના અંત સુધીમાં ભારત આવી શકે છે. ભારતમાં યુક્રેનના રાજદૂત એલેક્ઝાન્ડર પોલિશચુકે આ માહિતી આપી છે.

યુક્રેનના રાજદૂતે કહ્યું, ’વડાપ્રધાન મોદીએ મારા રાષ્ટ્રપતિને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું અને મને આશા છે કે તે થશે. કદાચ આ વર્ષના અંત સુધીમાં, અમે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને અહીં જોઈને ખુશ થઈશું, જો કે તેઓ ક્યારે ભારત આવશે તે તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. આ આપણા દ્વિપક્ષીય સંબંધોમાં વધુ એક પગલું આગળ વધારશે. આ બંને નેતાઓને વિશ્ર્વભરમાં શાંતિ પ્રક્રિયા પર ચર્ચા કરવા માટે વધુ સમય વિતાવવાની મોટી તક પૂરી પાડશે.

યુક્રેનના રાજદૂતે તાજેતરમાં કહ્યું હતું કે, ’સુરક્ષાની ચિંતાઓને કારણે પીએમ મોદીની યુક્રેનની મુલાકાત ટૂંકી રહી હતી. અહીં બંને નેતાઓ પાસે ચર્ચા માટે વધુ સમય હશે, તેમણે ઉમેર્યું, હું ચોક્કસપણે જાણું છું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ભારતની મુલાકાત લેવા માટે ખૂબ જ ઉત્સુક છે. તેઓ અહીં ક્યારેય આવ્યા નથી. તેમણે કહ્યું, આ મુલાકાત બંને પક્ષો માટે એક મહાન તક હશે. પોલિશચુકે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીના શબ્દોનું વિશ્ર્વમાં આદર કરવામાં આવે છે, અને એવી અપેક્ષા છે કે ભારત આગામી શાંતિ સમિટમાં વરિષ્ઠ સ્તરે ભાગ લેશે.