ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પીની અધ્યક્ષતા હેઠળ આવનાર ઉત્સવને અનુલક્ષી મીટિંગ યોજાઈ

  • આગામી 26 જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી સંજેલી મુકામે કરવામાં આવનાર છે.

ઝાલોદ,તારીખ 18-01-2024 ના ગુરૂવારના રોજ ઝાલોદ પોલિસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પી પટેલની આગેવાની હેઠળ એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગમાં આગામી 22 તારીખે અયોધ્યા ખાતે થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે નગરના થતા પ્રોગ્રામ વિશે માહિતી આપવામાં આવી હતી. 22 તારીખે થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને નગરમાં 20, 21 અને 22 તારીખે નગરમાં વિવિધ ધાર્મિક પ્રોગ્રામો કરવામાં આવનાર છે, તેને અનુલક્ષી ડી.વાય.એસ.પી. પટેલ અને પી.એસ.આઇ માળી દ્વારા નગરમાં દરેક ધર્મના લોકો શાંતિ પૂર્વક તહેવાર ઉજવે, કોઈ પણ અફવા થી ગેરમાર્ગે ન દોરાય, કોઈ પણ જાતની ઉશ્કેરણી જનક કાર્યો ન થાય તેમજ કોઈ પણ ગેરસમજ ફેલાય તેવા કાર્યો કોઈ ન કરે તેમ સુચન કરવામાં આવ્યું હતું. કોઈ પણ વાત કે ગેરસમજ થી વાતાવરણ તંગ ન બને તેની વિશેષ કાળજી રાખવી. કોઈ પણ ગેરસમજ થતી હોય તો તાત્કાલિક પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવો આવા સુચન પોલિસ દ્વારા આપવામાં આવેલ હતા.

સાથે સાથે આવનાર 26 જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિવસની ઉજવણી સંજેલી મુકામે કરવામાં આવનાર છે, તે વિશે પણ સુચન આપવામાં આવેલ હતું. નગરમાં ટ્રાફિક અવેરનેસ હેઠળ વાહન પાર્કિંગ, હાથલારી પર વ્યાપાર કરતા વ્યાપારી તકેદારી રાખે અને કોઈને અડચણરૂપ ન થાય તે રીતે વ્યાપાર કરે અને વાહન પાર્કિંગ કરે. ટ્રાફિક અવેરનેસ હેઠળ હાઇવે પર નાના ટુ વ્હીલર વાહન ચાલકો ફરજીયાત હેલ્મેટ પહેરે જેથી કોઈ કારણસર થતાં અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થાય. આવી વિશેષ તકેદારી વિશે સમજ આપવામાં આવી હતી.