ઝીરો વીજળી બિલ, મફત રાશન-ગેસ’, મોદીની ગેરંટી સાથે ભાજપનો ઢંઢેરો જાહેર

ભાજપે લોકસભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો છે. આ વખતે ભાજપે જીતની હેટ્રિક માટે ઘણા મોટા વચનો આપ્યા હતા. વિકસિત ભારતના સંકલ્પ અને મોદીની ગેરંટી દ્વારા ભાજપે પોતાનું વિઝન રજૂ કર્યું. બીજેપી હેડક્વાર્ટર ખાતે પીએમ મોદીની હાજરીમાં મેનિફેસ્ટો લોન્ચ કરવામાં આવ્યો હતો. મોદીની ગેરંટીની ઝલક ભાજપના ઠરાવ પત્રમાં પણ જોવા મળી હતી. 2014માં ભાજપે સબકા સાથ, સબકા વિકાસનો નારો આપ્યો હતો. 2019માં ભાજપ સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ સાથે આગળ વધ્યું. 2024માં ભાજપનો ચૂંટણી પ્રચાર મોદીની ગેરંટી સાથે ચાલી રહ્યો છે.

ભાજપે તેના મુખ્ય મુદ્દાઓ પહેલાથી જ પૂર્ણ કરી લીધા છે જેમાં રામ મંદિરનું નિર્માણ અને કલમ 370 હટાવવાની બાબત મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે ભાજપે ઠરાવ પત્ર બહાર પાડવા માટે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિનો દિવસ પસંદ કર્યો હતો, તેથી તેના અનેક અર્થો પણ થાય છે. 2014માં ભાજપે 7 એપ્રિલના રોજ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. 2019 માં, મેનિફેસ્ટો 8 મી એપ્રિલના રોજ બહાર પાડવામાં આવ્યો હતો અને આ વખતે તે આજે બહાર પાડવામાં આવ્યો હતો.

ખાસ વાત એ છે કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં દેશભરમાંથી મળેલા સૂચનોને સામેલ કર્યા છે. વડાપ્રધાન મોદીએ 25 જાન્યુઆરી 2024ના રોજ ચૂંટણી ઢંઢેરા માટે જનતા પાસેથી સૂચનો માંગ્યા હતા. બીજેપી અનુસાર, તેમને 15 લાખથી વધુ સૂચનો મળ્યા છે. તેમના આધારે આ મેનિફેસ્ટો બનાવવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ ભાજપના સંકલ્પ પત્રની જાહેરાત કરતા જણાવ્યુંકે, યુવાશક્તિ, નારીશક્તિ, ગરીબ અને કિસાન ભારતના આ ચાર મજબૂત આધાર સ્તંભોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. નિવેશથી નોકરી, ક્વાલિટી ઓફ લાઈફ પર આમારું ફોક્સ છે. છેલ્લાં 10 વર્ષોમાં અમે દેશના 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યાં છીએ. આ અભિયાન થકી અમે એ સિદ્ધ કરી બતાવ્યું છેકે, અમે પરિણામ લાવવા માટે કામ કરીએ છીએ. ગરીબીથી બહાર આવેલા લોકોને પણ સંભાળવા માટે અમે તેમને હેલ્થ કાર્ડ આપીએ છીએ. એવી રીતે અમે એમને અનાજ આપીએ છીએ.

આગામી પાંચ વર્ષ સુધી મફ્ત ભોજનની યોજના ચાલુ રહેશે. ગરીબના ભોજનની થાળી સસ્તી અને આરોગ્યપ્રદ હોય તેનું સરકાર ધ્યાન રાખશે. જનઔષધી કેન્દ્રો પર 80 ટકા સસ્તી દવાઓ મળતી રહે તેનું ધ્યાન રખાશે. આયુષ્માન ભારત અંતર્ગત 5 લાખ સુધીનો મફ્ત ઈલાજ મળતો રહેશે. 70 વર્ષની ઉપરની વયના બધા જ વડીલો માટે ખાસ યોજના પણ કરવામાં આવી છે. અમારો સંકલ્પ છેકે, આયુષ્માન યોજનાના દાયરામાં દરેક વડીલને લાવવામાં આવશે. 70 વર્ષથી ઉપરના દરેક વડીલોને આ યોજનાનો લાભ મળશે. ભલે તે ગરીબ હોય કે મધ્યવર્ગીય હોય કે અમીર હોય.

ભાજપે ગરીબોને ચાર કરોડ પાક્કા ઘર બનાવીને આપવામાં આવ્યાં છે. 3 કરોડ બીજા નવા ઘરો બનાવવાનો સંકલ્પ લઈએ છીએ. પાઈપથી સસ્તી રસોઈ ગેસ ઘર ઘર પહોંચાડવા અમે કામ કરીશું. કરોડો પરિવારોના વીજ બીલ ઝીરો કરવા અને વીજળીથી કમાણીના અવસર ઉભા કરીશું. મુદ્રા યોજનામાં લોનની સીમા અત્યાર સુધી 10 લાખ સુધીની હતી હવે તેમાં વધારો કરીને 20 લાખ સુધીની કરવાનો ભાજપનો ઈરાદો છે. ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરને વધારવા માટે આ યોજના કામ લાગશે.