વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેથરીબોરના આંગણે પધારી: ગ્રામજનોમાં ઉત્સાહ : સરકારની પ્રત્યેક યોજનાનો લાભ લેવા સંકલ્પબધ્ધ થયા

લુણાવાડા, વિકસિત રાષ્ટ્રના નિર્માણનું પ્રથમ પગથિયું ગ્રામીણ વિકાસ છે. વડાપ્રધાને ગ્રામીણ વિકાસને પાયાથી મજબુત કરવા માટેના ચાર આધારસ્તંભ તરીકે મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબ-મધ્યમવર્ગીય કુટુંબના વિકાસને ગણાવ્યું છે. આ ચાર આધારસ્તંભના સર્વાંગી વિકાસના ઉમદા આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લુણાવાડા તાલુકાના કેળ ગ્રુપ ગ્રામ પંચાયતના જેથરીબોર ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ જોવા મળ્યો હતો.

જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલના અધ્યક્ષતામાં આયોજીત કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારની અનેકવિધ બહુમૂલ્ય યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટિફિલ્મ સંકલ્પ રથના માધ્યમથી નિહાળી હતી. ઉપરાંત, ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહભાગીદારી અદા કરવાના સામુહિક શપથ લીધા હતા. જીલ્લા વિકાસ અધિકારી, યાત્રા ઇન્ચાર્જ મુળજીભાઇ રાણા અગ્રણીઓ વિજયસિંહ, જસવંતસિંહ સહીત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખીય છે કે, જેથરીબોરના સ્થાનિક લાભાર્થીઓએ ’મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ પોતાના જીવનમાં યોજનાકીય લાભથી આવેલા પરિવર્તન અંગે પોતાની સફળ વાર્તા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. વધુમાં મિશન મંગલમની બહેનોએ નુક્કડ નાટકના મદદથી ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીને અપનાવવાનો પ્રેરક સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિનામુલ્યે સારવાર કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. તેમજ આંગણવાડીની બહેનો દ્વારા મિલેટસમાંથી બનાવેલી વાનગીઓ, ફળ-શાકભાજી તેમજ હલકા ધાન્યની સમજ આપતા સ્ટોલ પરથી તેના મહત્વ અંગેની જાણકારી પુરી પાડી હતી. આ તબક્કે ઉપસ્થિત ધરતી પુત્રોને ડ્રોન દ્વારા ખેતીમાં કેવી રીતે દવાનો છંટકાવ કરી શકાય તે માટે ઉપસ્થિત ખેડૂતો ગ્રામજનોએ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં અગ્રણીઓ રત્નાભાઈ, ગીરવતસિંહ, સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો, શાળા પરિવાર,ખેતીવાડી, આરોગ્ય, આઈસીડીએસ સહીત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહીત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.