
- મહેમાનોના હસ્તે વિવિધ યોજના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.
દાહોદ, દરેક જરૂરિયાતમંદ નાગરિક સુધી સરકારની વિવિધ યોજનાના લાભો પહોંચાડી તેમને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરી શકાય તેવા હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત ગામોગામ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના બંબેલા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચતો ન હોય તો તેમના સુધી જઈને યોજનાનો લાભ અપાવવા માટે આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજવામાં આવી રહી છે. કોઈને આધારે રહેવું ન પડે અને તમામ નાગરિકો સ્વમાનભેર જીવન જીવી શકે અને આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોને ત્રણે વખત પાકના વાવેતર માટે મદદરૂપ થવા સહાય રકમ ત્રણ હપ્તામાં ખેડૂતોને સીધી તેમના ખાતામાં જમા આપવામાં આવે છે. ગરીબ પરિવારોને માંદગી કે અકસ્માત વખતે વ્યાજે પૈસા લેવા ન પડે કે કોઈ આગળ હાથ લંબાવવો ન પડે તે માટે આયુષ્માન કાર્ડ અંતર્ગત 10 લાખ સુધીની નિ:શુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે છે. ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા જરૂરિયાતમંદોને વિના મૂલ્યે અનાજ પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. બાળકીઓ અને ધાત્રી માતાઓના પોષણ માટે સરકાર પોષણ કીટ પૂરી પાડી રહી છે. આ ઉપરાંત આગેવાનો તેમજ અધિકારીઓને જરૂરિયાતમંદ લોકોને શોધી તેમને યોજનાઓનો લાભ અપાવવા અપીલ કરી હતી.
ગામની બાળકીઓ દ્વારા સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું તેમજ બાળાઓએ પુષ્પ ગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ખેતરમાં ડ્રોન નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યઓ, ગામના સરપંચ સહિત અન્ય સંબંધિત અધિકારીઓ, ગામના આગેવાનો, શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.