વાયુ પ્રદૂષણને કારણે દેશના ૧૦ શહેરોમાં દર વર્ષે ૩૩ હજાર મૃત્યુ, દિલ્હીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ

દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, પરંતુ હવે એક તાજેતરના અભ્યાસમાં જે ખુલાસો થયો છે, તેનાથી આપણે સૌ ચિંતિત થઈએ તે સ્વાભાવિક છે. હકીક્તમાં, આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના ૧૦ શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે ૩૩ હજાર લોકોના મોત થઈ રહ્યા છે. આ અભ્યાસ લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પ્રકાશિત થયો છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં સ્વચ્છ હવાના ધોરણો પહેલાથી જ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવાના ધોરણો કરતા વધારે છે, પરંતુ ઘણા શહેરોમાં, પ્રદૂષણ, નિર્ધારિત ધોરણો કરતા અનેકગણું, એક મોટી સમસ્યા છે. જેના કારણે લોકો અનેક રોગોનો ભોગ બની રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, ૨૦૦૮ થી ૨૦૧૯ ની વચ્ચે દેશના ૧૦ શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે ૩૩ હજાર મૃત્યુ થયા છે – અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પુણે, શિમલા અને વારાણસી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વર્તમાન ભારતીય વાયુ ગુણવત્તાના ધોરણોથી નીચેનું વાયુ પ્રદૂષણ સ્તર પણ દેશમાં દૈનિક મૃત્યુદરમાં વધારો કરે છે. “દેશના ૧૦ શહેરોમાં – અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પુણે, શિમલા અને વારાણસી, દર વર્ષે લગભગ ૩૩,૦૦૦ મૃત્યુ વાયુ પ્રદૂષણના સ્તરને કારણે થાય છે જે ડબલ્યુએચઓ માર્ગદશકા કરતાં વધી જાય છે.

મુંબઈ, બેંગ્લોર, કોલકાતા અને ચેન્નાઈમાં મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે, પરંતુ રાજધાની દિલ્હીમાં સ્થિતિ સૌથી ખરાબ છે. રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી થતા રોગોને કારણે દર વર્ષે ૧૨ હજાર લોકો મૃત્યુ પામે છે, જે દેશમાં કુલ મૃત્યુના ૧૧.૫ ટકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં રાષ્ટ્રીય હવાની ગુણવત્તાના ધોરણોને કડક બનાવવાની જરૂર છે અને વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવાના પ્રયાસોને બમણા કરવાની જરૂર છે.

દિલ્હી પછી, વારાણસીમાં સૌથી વધુ મૃત્યુ થયા છે, જ્યાં દર વર્ષે ૮૩૦ લોકોએ જીવ ગુમાવ્યો છે, જે કુલ મૃત્યુની સંખ્યાના ૧૦.૨ ટકા છે. તે જ સમયે, હવાના પ્રદૂષણને કારણે બેંગ્લોરમાં ૨,૧૦૦, ચેન્નાઈમાં ૨૯૦૦, કોલકાતામાં ૪૭૦૦ અને મુંબઈમાં લગભગ ૫૧૦૦ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સૌથી ઓછું વાયુ પ્રદૂષણ જોવા મળ્યું છે. જો કે, પહાડી શહેરમાં હજુ પણ વાયુ પ્રદૂષણનું સ્તર જોખમ રહેલું છે. શિમલામાં દર વર્ષે ૫૯ મૃત્યુ થયા છે, જે કુલ મૃત્યુના ૩.૭ ટકા છે. આ રિપોર્ટ સસ્ટેનેબલ ફ્યુચર્સ કોલાબોરેટિવ, અશોકા યુનિવસટી, સેન્ટર ફોર ક્રોનિક ડિસીઝ કંટ્રોલ, સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટ, હાર્વર્ડ અને બોસ્ટન યુનિવસટીના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.