વાવાઝોડું ટકરાય તે પહેલા જખૌ બંદર પાસેના મકાનોના ઉડ્યા છાપરા, સમગ્ર વિસ્તારમાં ભારે નુક્સાન

બિપરજોય વાવાઝોડું જખૌ બંદરને ટકરાય તે પહેલા જ તેની ભયંકર અસર સમગ્ર વિસ્તારમાં જોવા મળી છે. તીવ્ર ગતિથી ફુંકાતા પવન અને ભારે વરસાદના કારણે જખૌ પોર્ટથી ૫૦૦ મીટરના અંતરે આવેલા તમામ મકાનોને નુક્સાન પહોંચ્યું છે. અહીં આવેલા કાચા મકાનોના છાપરા, પતરા ઉડવા લાગ્યા છે. તેમજ નળિયાવાળા મકાનોને પણ ભારે નુક્સાન થયું છે. જો કે તંત્ર દ્વારા આ તમામ ઘરોને પહેલાથી જ ખાલી કરાવી દેવાયા હતા. તમામ સ્થાનિકોને નલિયામાં આવેલી મોડલ સ્કૂલ ખાતે ખસેડાયા છે.

બિપરજોય વાવાઝોડું હવે જખો પોર્ટથી માત્ર ૧૭૦ કિલોમીટર દુર છે અને વાવાઝોડાએ વિનાશ વેરવાનું શરુ પણ કરી દીધું છે. નલિયાથી જખો પોર્ટ તરફ જવાનો રસ્તો ભયજનક બની ગયો છે. રસ્તા ઉપર આવેલા લાઈટના થાંભલાઓને તીવ્ર ગતિથી ફુંકાતા પવનના કારણે નુક્સાન થયું છે. આ સાથે જ પોર્ટથી લગભગ બે કિલોમીટરના અંતરે આવેલા લાઈટના થાંભલા નમી ગયા છે. સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મોટા પાયે નુક્સાન થવાની ભિતી સર્જાઈ છે.

વાવાઝોડાની અસરના પગલે ગઈ કાલ રાતથી થોડીથોડી વારે વરસાદી ઝાપટા પડતા હોવાના કારણે પોર્ટની ત્રણ કિલોમીટર સુધીના માર્ગની આસપાસ પાણી ભરાયા ગયા છે. જખૌ પોર્ટ પર બિપરજોય વાવાઝોડું ટકરાશે તેને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે એવામાં પોલીસ દ્વારા પોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. કોઈપણ વ્યક્તિ પોર્ટ અને તેની પાંચ કિલોમીટર આસપાસ જોવા મળે તો તેને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે. સુરક્ષાના ભાગરુપે પોલીસે અહીં ચેકપોસ્ટ બનાવી છે.