વાવ ઝાબના 90 આદિવાસી વિદ્યાર્થીઓનું શિક્ષણ એસટી બસની અનિયમિતા લઈ જોખમાયું બીજી બસ મુકવા વિદ્યાર્થીઓની રજૂઆત

ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વાવ ઝાબ ગામના 90 આદિવાસી વિદ્યાર્થીઓને બીજી બસની સુવિધા નહીં મળે તો તેમણે શિક્ષણ અધૂરૂ મૂકી બાપ દાદાની જેમ મજૂરી (કડિયાકામ) કરવી પડે તેવા સંજોગો ઊભા થયા છે. વાવ ઝાબ થી 90 જેટલા વિદ્યાર્થીઓ એસટી બસ મારફતે ઘોઘંબા એસ.એચ.વરીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા આવે છે, પરંતુ એસટી બસની અનિયમિતાના કારણે બાળકો શાળામાં લેટ પહોંચે છે. બાળકો શાળાએ પહોંચે ત્યારે બે પિરિયડ પૂરા થઈ જાય છે અને સાંજે ઘરે જવું હોય ત્યારે છેલ્લા બે પિરિયડ છોડવા પડે છે. જેની અસર બાળકોના શિક્ષણ ઉપર પડી છે. એસ.ટી.વિભાગની બેદરકારી અને અણઘડ વહીવટને કારણે 90 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે.

બસ ચાલક વિદ્યાર્થીઓને શાળાની સામે ઉતરતા નથી. બાળકોને ડેપોમાં ઉતારે અને ત્યાંથીજ બેસાડે છે. જેથી બાળકોને બે કિલોમીટર ચાલી શાળાએ પહોંચવું પડે છે. સરકાર દ્વારા સર્વશિક્ષણ અભિયાન હેઠળ બાળકોને શિક્ષણ આપવા કરોડો રૂપિયા ખર્ચે છે. ત્યારે વાવ ઝાબના 90 વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે. વિધાર્થીઓ મોડા પાડવાના કારણે તેઓ પ્રાર્થનામાં હાજર રહી સહતા નથી તથા ઓનલાઈન હાજરી પૂરાતી હોય તે સમયે તે શાળામાં હોતા નથી. ધોરણ-10 અને 12 માં ભણતા વિધાર્થીઓનું મહત્વનું વર્ષ હોય એસ.ટી. વિભાગ દ્વારા સત્વરે બસ ચાલુ કરવાની માંગ ઉઠવા પામી છે.

વાવ ઝાબની બસ સવારે 10:15 અને સાંજે 5:00 વાગે પાછી વાવ ઝાબ જાય તે પ્રમાણેનો સમય નક્કી કરવામાં આવે તો 90 આદિવાસી બાળકોનું ભવિષ્ય સુધરે તેમ છે. એસ.એચ.વરીયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા હાલોલ ડેપોમાં વારંવાર લેખિત રજૂઆત કરી છતાં એસટી તંત્રએ કોઈપણ જાતનો પ્રતિભાવ આપ્યો નથી. જેથી આજરોજ વાવ ઝાબના વાલીઓએ આજરોજ આદિવાસી વિદ્યાર્થીઓને સાથે લઈ હાલોલ એસટી ડેપો મેનેજરને લેખીત રજૂઆત કરી હતી. જો હાલોલ એસટી વિભાગ બાળકો માટે સવારે અને સાંજની બસનો રૂટ ચાલુ નહીં કરે તો બાકરોલ, વાવ, ઝાબ પંથકના વાલીઓ ગાંધી ચિંધ્યા માર્ગે જઈ આંદોલન કરશે. એસટી બસના અભાવે 90 વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે.

Don`t copy text!