વડોદરા દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટોની તૈયારી દર્શાવી, દુર્ઘટનાના અહેવાલો મંગાવ્યા

અમદાવાદ,વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં ૧૪ લોકોના મોત થયા છે. આ ઘટનામાં મોતને ભેટનાર મોટાભાગના બાળકો જ છે, ત્યારે હવે આ ગંભીર દુર્ઘટનાના પડઘા ગુજરાત હાઇકોર્ટમાં પડ્યા છે.ગુજરાત હાઇકોર્ટે વિસ્તૃત અહેવાલ જાણીને સુઓમોટોની તૈયારી દર્શાવી છે.

મુખ્ય ન્યાયાધીશ આજે જ્યારે કોર્ટની શરુઆત કરતા હતા, ત્યારે ડિવિઝનલ બેન્ચ સમક્ષ ગુજરાત હાઇકોર્ટ એસોશિએશનના પ્રમુખ અને સેક્રેટરીએ તેમને વડોદરા દુર્ઘટનાથી અવગત કરાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટ એસોશિએશને જણાવ્યુ હતુ કે આ દુર્ઘટનામાં અનેક બાળકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બાળકોને લાઇફ જેકેટ કે અન્ય કોઇ સુવિધા આપવામાં આવી ન હતી. જેથી સ્પષ્ટપણે આ દુર્ઘટના બેદરકારીના કારણે ઘટી હોવાનું જોવા મળી રહ્યુ છે.

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા, સુઓમોટો લેવા મુખ્ય ન્યાયાધીશને કરાયેલી રજૂઆતો બાદ મુખ્ય ન્યાયાધીશે ઘટના અંગે અહેવાલો મગાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશે અહેવાલ મળશે તો આ મામલે સુઓમોટોની તૈયારી દર્શાવી હતી. જે પછી હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી હવે અહેવાલ એકઠા કરવા સહિતની પ્રક્રિયામાં કામે લાગ્યા છે. આ મામલે હજુ વધુ સુનાવણી થશે.

પ્રાથમિક ધોરણે લાગી રહ્યુ છે કે જો કોર્ટને યોગ્ય લાગશે તો સુઓમોટો અરજી લેવાઇ શકે છે.પક્ષકારોને જોડીને ગુજરાત હાઇકોર્ટ કડક નિર્દેશ પણ આપી શકે છે. તેમજ સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ મગાવી શકે છે.