વલસાડમાં શ્રમિકની હથોડા મારીને હત્યા નિપજાવી,આરોપીને ઝડપી જેલ ભેગો કરાયો

શહેરના અબ્રામા વિસ્તારમાં બે દિવસ અગાઉ એક નવા બની રહેલા ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં એક શ્રમિકની હથોડા મારીને હત્યા નિપજાવી હોવાનો ચકચારી બનાવ બન્યો હતો. મૂળ બિહારના શ્રમિકની હત્યાની ઘટના બનતા જ વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ હતી અને આરોપી સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી. પોલીસને ગણતરીના કલાકોમાં જ સફળતા મળી અને મૃતક શ્રમિકની હત્યા નિપજાવનાર હત્યારાને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે.

વલસાડના અબ્રામા રોડ પર નવા બની રહેલા જલારામ ઇન્ડસ્ટ્રિયલ પાર્કના પ્લોટ નંબર ૨૫માં એક ફેક્ટરીનું કામ ચાલી રહ્યું છે. જેમાં મૂળ બિહારના શેખપુરાના ૩૬ વર્ષે પપ્પુ પાસવાન નામનો એક શ્રમિક કામ કરી રહ્યો હતો. બે દિવસ અગાઉ મોડી રાત્રે પપ્પુ પાસવાનની કોઈએ માથાના ભાગે હથોડા અને લોખંડની પાઇપના ઉપરાછાપરી ઘા મારી અને તેની હત્યા નિપજાવી હોવાની ઘટના બની હતી. સવારે તેની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં આ નવી બનેલી ફેક્ટરીમાં કામ કરતું અન્ય એક શ્રમિક દંપતી પણ રાતથી ગાયબ હોવાનું જણાવતા વલસાડ પોલીસે તેમને શોધવા પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સૌપ્રથમ પોલીસને ઘટના બાદથી ફરાર વિકાસ માંઝી અને તેની પત્ની ચંપાદેવી નામના આ શ્રમિક દંપતી પર શંકા જતા તેમણે તેમને ઝડપવા પ્રયાસ કરતા ટેક્નિકલ તપાસમાં વિકાસ માંઝી પત્ની સાથે ટ્રેનમાં પોતાના વતન ફરાર થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે રેલવે પોલીસની મદદ લીધી હતી.

વલસાડ પોલીસને હત્યાની જાણ થયાના માત્ર બે કલાકમાં જ આરોપીને રેલવે પોલીસની મદદથી મહારાષ્ટ્રના જલગાંવ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી વિકાસ માંઝીની ધરપકડ બાદ વલસાડ પોલીસે તેની આગવી ઢબે સરભરા કરી પૂછપરછ કરતા શ્રમિક પપ્પુ પાસવાનની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, મૃતક પપ્પુ અને આરોપી વિકાસ માંઝી બંને બિહારના નજીકના ગામમાં જ રહેતા હતા. મૃતક પપ્પુ થોડા દિવસ અગાઉ પોતાના વતન ગયો હતો જ્યાં તેણે વિકાસ માંઝી અને તેની પત્ની ચંપાદેવીને કામ અપાવવાના બહાને ૧૦ દિવસ અગાઉ જ વલસાડ લઈ આવ્યો હતો.

જોકે મૃતક પપ્પુ પાસવાન અને આરોપી ચંપાદેવી વતનમાં એક સાયકલ રેસમાં પરિચિત થયા હતા અને મોબાઈલ નંબરની આપ-લે બાદ અવારનવાર તેમના વચ્ચે વાતચીત થતી હતી. આ બંને વચ્ચે આડા સંબંધ પાંગર્યા હતા. આ વાતથી ચંપાનો પતિ વિકાસ અજાણ હતો. પપ્પુ પોતાની પ્રેમિકાને સાથે રાખવા કામના બહાને તેમને વલસાડ લાવ્યો હતો અને અહીં જલારામ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં બની રહેલી આ નવી ફેક્ટરીમાં મજૂરી કામ કરી આ કંપની પરિસરમાં જ પડાવ નાખી અને રહેતા હતા.વિકાસ માંઝી અહીં પોતાની પત્ની સાથે રહેતો હતો. જોકે બનાવની રાત્રે મૃતક પપ્પુ ચંપા દેવી સાથે સૂઈ રહ્યો હતો. ત્યારે ઊંઘમાંથી ઊઠેલો વિકાસ તેમને જોઈ ગયો હતો અને ત્યારબાદ પત્નીને ઉઠાડીને પત્ની સાથે મળી બંનેએ પપ્પુના માથામાં હથોડા અને લોખંડના પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આમ પપ્પુ પાસવાનની આરોપીની પત્ની સાથેના આડા સંબંધના કારણે જ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો.

વલસાડ પોલીસે અત્યારે વિકાસ માંઝી અને તેની પત્ની ચંપા દેવીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને કડક અને દાખલા રૂપ સજા ફટકારવામાં આવે તે માટે તમામ પુરાવાઓ એકત્રિત કરી રહી છે. આમ ફરી એક વખત આડા સંબંધોનું પરિણામ લોહિયાળ જ આવ્યું છે. આડા સંબંધમાં જ એક શ્રમિકે સાથી શ્રમિકની હથોડાના ઘા ઝીંકી અને ઘાતકી હત્યાની આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.