
શ્રમ કૌશલ્ય અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં રોજગારી પૂરી પાડવા માટે ગુજરાત છેલ્લા ૨૦ વર્ષથી નંબર-૧ છે. વલસાડ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૧૬,૨૪૬ રોજગાર વાંચ્છુકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
વિધાનસભા ખાતે વલસાડ જિલ્લામાં રોજગારી અંગેના પ્રશ્ર્નમાં તેમણે માહિતી આપતા કહ્યું કે, તાજેતરમાં વડાપ્રધાન શ્રી દ્વારા નવસારી ખાતેથી પી.એમ. મિત્ર ટેક્ષટાઈલ પાર્કનું ભૂમિપૂજન કરાયું છે. જેના પરિણામે આગામી સમયમાં વધુ રોજગારી પ્રાપ્ત થશે. વલસાડ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રોજગાર કચેરી દ્વારા એનર્જી પાર્ક ઉત્પાદન, રેડીમેડ ગારમેન્ટસ, પ્લાસ્ટિક, રબર ઉદ્યોગ અને રસાયણ ક્ષેત્રે રોજગાર વાંચ્છુકોને રોજગારી અપાઈ છે.