વડોદરામાં જૂનીગઢી ગણપતિ બપ્પાની વિસર્જન યાત્રા

વડોદરામાં જૂનીગઢી મિત્ર મંડળ આયોજીત જૂનીગઢી ગણપતિબાપાની આજે સાંજે વિસર્જન યાત્રા નિકળશે. આ વિસર્જન યાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી નિકળવાની હોવાથી પોલીસના ધાડેધાડા રૂટ પર ઉતરી ગયા છે. સંવેદનશીલ વિસ્તારોની ગલીઓ પતરાથી કોર્ડન કરવામાં આવી છે. ઘોડે સવારી પોલીસ દ્વાર રૂટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ રૂટ પર ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે. એસઆરપી, આરએએફ અને સીઆરપીની 3 કંપની મગાવાઇ છે. જ્યારે 30 પીઆઈ, 15 એસીપી, 5 ડીસીપી, 700 એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ ઉપરાંત હોમગાર્ડનાં 900 જવાનો ખડપગે છે. આ વખતે પ્રથમવાર પોલીસે હિસ્ટ્રી શીટર અને ખાસ કરીને અગાઉ પથ્થરમારો અને તોફાનોમાં ઝડપાયેલા આરોપી અને એમના પરિવારના મોબાઈલ ફોન સર્વેલન્સ પર મૂકી દીધાં છે.

જુનીગઢીના ગણેશજીની યાત્રા સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળતી હોય છે. આ યાત્રા ઉપર 15 કરતા વધુ અપ્રોચ રસ્તા ઉપર આડશ મૂકી બ્લોક કરી દેવામાં આવ્યા છે. જેથી ગલીમાંથી કોઈ વ્યક્તિ વાહન સાથે કે ચાલતા અવરજવર કરી શકશે નહિ. આડશની બીજી તરફ અંદરના ભાગે 100 મીટર સુધી પોલીસની ટીમો હાજર છે.

અગાઉ અસામાજિક તત્વો દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો. જેના કારણે અગમચેતીના ભાગરૂપે પોલીસ વિભાગે વીજ કંપનીનો સંપર્ક કર્યો છે અને જુદા જુદા ટ્રાન્સફોર્મર પાસે વીજકર્મીઓ સાથે પોલીસ જવાનો પણ બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવ્યા છે. યાત્રાના રૂટ ઉપર આધુનિક ડ્રોનથી બાજ નજર રખાશે.