વડોદરા હવે પૂર નગરી, બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ

વડોદરા પર બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી 1 ફૂટ જ દૂર છે. હાલ વિશ્વામિત્રીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. કાલાઘોડા બ્રિજની જળ સપાટી 25 ફૂટે પહોંચતા ફરી પૂરનું સંકટ તોળાયું છે.ધીમે ધીમે નદીની સપાટી વધી રહી છે.

વિશ્વામિત્ર નદીનું જળસ્તર સ્થિર થયું મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું છે કે, વિશ્વામિત્ર નદીનું જળસ્તર સ્થિર થયું છે. મોટાભાગનું પાણી આવી ગયું છે, ઉપરવાસ અને વડોદરામાં વરસાદ બંધ થયો છે. ગ્રામ્ય વિસ્તારોનું મોટાભાગનું પાણી આવી ગયું છે. એટલે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટવામાં છે. હાલ 25 ફૂટે વિશ્વામિત્રી હોવાથી નીચાણવાળા વિસ્તારોને હજુ પણ સતર્ક રહેવાનું કહું છું.

આજવા ડેમની સપાટી વધીને 213.26 ફૂટે પહોંચી આજવા ડેમની સપાટી વધીને 213.26 ફૂટે પહોંચી છે. આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા હજી બંધ છે. વડસર, પરશુરામ ભઠ્ઠા, જલારામ નગર, કમાટીપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. તંત્ર પણ એલર્ટ મોડ પર છે. ગઈકાલે સાંજથી વડોદરામાં વરસાદ વરસ્યો નથી છતાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે.

ત્રણ પૂર અને એકવાર ભારે પવન મળીને ચોથી આફત 2004થી 26 ઓગસ્ટ 2024 દરમિયાન 20 વખત પૂર આવ્યા છે. જેમાં સૌથી વધુ આ વખતે ત્રણવાર પૂર આવ્યા છે. જ્યારે 25 સપ્ટેમ્બરે 110 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો અને 4 લોકોના મોત થયા હતા. આમ બે જ મહિનામાં ત્રણવાર પૂર અને એકવાર ભારે પવન સાથે વરસાદની આફત મળીને કુલ ચાર વાર આફતનો સામનો કરવો પડ્યો છે. વિશ્વામિત્રી નદીમાં જ્યારે-જ્યારે પૂર આવે છે, ત્યારે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા સરકારમાં પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ સરકાર દ્વારા ઊંઘ ઉડાડવામાં આવતી ન હતી.