ઉત્તરાખંડમાં ફરી તબાહી: ક્યાંક લેન્ડસ્લાઇડ તો ક્યાંક આભ ફાટ્યું, મહારાષ્ટ્ર-ગુજરાતમાં એલર્ટ, રાયગઢના ઈરશાલવાડીમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને ૨૨ થઈ ગયો

  • ઉત્તરકાશીમાં ભારે વરસાદને કારણે યમુનોત્રી હાઈવે પર ભૂસ્ખલન
  • રાયગઢના ઈરશાલવાડીમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 22 થઈ ગયો
  • રાજસ્થાનના જોધપુર અને બિકાનેરમાં ભારે વરસાદ
  • DRF અને ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરવામાં આવી

દેશભરમાં મેઘમહેર યથાવત છે ત્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે વરસાદને કારણે યમુનોત્રી હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. અનેક વાહનો દટાયા હતા. શાળાઓમાં પણ કાટમાળ જમા થયો હતો. બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ તરફ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દેહરાદૂન, ઉત્તરકાશી, ટિહરી, પૌરી અને નૈનીતાલમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. SDRF અને ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરવામાં આવી છે.

રાજસ્થાનના જોધપુર અને બિકાનેરમાં ભારે વરસાદ થયો છે. જોધપુરની એક શેરીમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે બાઇક, સ્કૂટી અને સવારો ધોવાઈ ગયા હતા. 2 કલાકમાં 66.8 મીમી વરસાદ નોંધાયો હતો. મહારાષ્ટ્રના પાલઘર, મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગીરીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે.

રાયગઢના ઈરશાલવાડીમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 22 થઈ ગયો છે, જ્યારે 86 લોકો લાપતા છે.

આ બધાની વચ્ચે દિલ્હીમાં ફરી એકવાર યમુનાનું જળસ્તર ભયજનક સપાટીને પાર કરી ગયું છે. હિમાચલમાં 22 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. ઓડિશાના 15 જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ છે.

દેશના છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, કર્ણાટક, કર્ણાટક, ગોવામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે તમિલનાડુ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થઈ શકે છે. આગામી 24 કલાક દરમિયાન તેલંગાણામાં ભારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના પાલઘરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં છેલ્લા 24 કલાકમાં બે લોકોના મોત થયા છે.