યુપીમાં એન્કાઉન્ટર નો સિલસિલો, ગેંગસ્ટર અનિલ દુજાના ઠાર:૧૮ હત્યા સહિત ૬૨ કેસ નોંધાયેલા હતાં

મેરઠ,મેરઠમાં ગેંગસ્ટર અનિલ દુજાના (૩૬)ને યુપી એસટીએફે એન્કાઉન્ટર માં ઠાર માર્યો છે. દુજાના નોઈડાના બાદલપુરનો રહેવાસી હતો. ૩ વર્ષ સુધી અયોધ્યા જેલમાં બંધ હતો. થોડા સમય પહેલા તે જામીન પર છૂટ્યો હતો. આ પછી તે ફરાર થઈ ગયો હતો. દુજાના સામે ૧૮ હત્યા સહિત ૬૨થી વધુ કેસ નોંધાયેલા છે. તે ગેંગ બનાવીને હત્યા અને લૂંટ ચલાવતો હતો. યુપી એસટીએફએ છેલ્લા ૬ વર્ષમાં દુજાના સહિત ૧૮૪ એન્કાઉન્ટર કર્યા છે.

પશ્ર્ચિમ યુપી ઉપરાંત દિલ્હી, રાજસ્થાન, હરિયાણામાં પણ આતંક મચાવ્યો હતો. ૨૦૧૧માં તેને નોઈડાના કેસમાં ૩ વર્ષની સજા થઈ હતી. બુલંદશહેર પોલીસે તેના પર ૨૫ હજારનું ઈનામ રાખ્યું હતું અને નોઈડા પોલીસે તેના પર ૫૦ હજારનું ઈનામ રાખ્યું હતું. જૂના કેસમાં હાજર ન થવાને કારણે કોર્ટમાંથી દુજાના સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

દુજાનાને સુંદર ભાટી ગેંગ સાથે દુશ્મની હતી. દુજાના પર ૨૦૦૨માં ગાઝિયાબાદમાં હત્યાનો કેસ નોંધાયો હતો. તેણે સુંદર ભાટી પર એકે-૪૭ રાઈફલથી હુમલો કર્યો. ત્યારથી તે પશ્ર્ચિમ યુપીમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. દુજાનાએ ૨૦૧૯માં મેરઠ કોર્ટમાં સગાઈ કરી હતી.

જેલમાંથી બહાર આવતાની સાથે જ દુજાનાએ સંગીતા, તેની પત્ની અને જયચંદ પ્રધાન હત્યા કેસના સાક્ષીને ધમકી આપી હતી. આ પછી પોલીસે ગયા અઠવાડિયે તેની સામે ૨ કેસ નોંધ્યા હતા. નોઈડા પોલીસ અને યુપી એસટીએફ અનિલ દુજાનાની ધરપકડ માટે સતત દરોડા પાડી રહી હતી. ગત દિવસોમાં ૭ ટીમોએ ૨૦થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા હતા. અનિલ દુજાના જેલમાંથી બહાર આવ્યો ત્યારે સાક્ષીઓમાં ભય હતો. ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો છે કે દુજાના મંડાવલીના એક વેપારીની હત્યા કરવાના ઈરાદે ફરતો હતો.

દુજાના ગામ એક સમયે કુખ્યાત સુંદર નગર ઉર્ફે સુંદર ડાકુ તરીકે જાણીતું હતું. ૭૦-૮૦ના દાયકામાં દિલ્હી-એનસીઆરમાં સુંદરનો ખૌફ હતો. તેણે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. અનિલ નાગર ઉર્ફે અનિલ દુજાના આ દુજાના ગામનો રહેવાસી હતો. તેની સામે પહેલો કેસ ૨૦૦૨માં ગાઝિયાબાદના કવિ નગર પોલીસ સ્ટેશનમાં હરબીર પહેલવાનની હત્યા માટે નોંધવામાં આવ્યો હતો.