ટ્રક સાથે અથડાયા બાદ બસમાં વિસ્ફોટ, ૫ લોકોના મોત,૯ની હાલત ગંભીર

નાસિક,મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મંગળવારે, જિલ્લામાં મુંબઈ-આગ્રા હાઈવે પર રાજ્ય પરિવહનની બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૫ લોકોના મોત થયા છે અને ૪૧ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ૯ લોકોની હાલત ગંભીર છે. મૃતકોમાં બે વરિષ્ઠ નાગરિકો, એક ૧૪ વર્ષનો છોકરો અને બસ કંડક્ટર સહિત બે પુરુષોનો સમાવેશ થાય છે.

ચાંદવડ શહેરની હદમાં સવારે ૯:૪૫ કલાકે આ અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ જલગાંવ જિલ્લાના ભુસાવલથી નાસિક શહેર જઈ રહી હતી. બસ ડ્રાઇવરે હાઇવે પર માલસામાનની ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં આ અકસ્માત સર્જાયો હતો. ચાંદવડ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કૈલાશ વાઘે જણાવ્યું કે ટક્કર એટલી જોરદાર હતી કે બસની આગળની ડાબી બાજુનો એક ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. જેના કારણે બસમાં મુસાફરી કરી રહેલા અનેક મુસાફરો ફસાઈ ગયા હતા. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે ચાંદવડ સરકારી હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ૯ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે મૃતકોની ઓળખ થાણેના ભિવંડી શહેરની ખાલિદા ગુલામ હુસૈન, બડેરામ સોનુ આહિરે, નાસિકના સુરેશ તુકારામ સાવંત, સાહિલ અને જલગાંવના રહેવાસી સંજય દેવરે તરીકે થઈ છે. મુંબઈમાં સ્જીઇ્ઝ્રના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીએ ૧૭ ઈજાગ્રસ્ત મુસાફરોને ૧૫,૦૦૦ રૂપિયાની તાત્કાલિક એક્સ-ગ્રેશિયા ચૂકવણી કરી હતી.

સ્પીડમાં આવતી બસને ડાબી બાજુથી આવતી ટ્રકે ટક્કર મારી હતી. બસમાં કુલ ૪૫ મુસાફરો સવાર હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે મુસાફરોને સાજા થવાનો સમય પણ ન મળ્યો. બસે કાબુ ગુમાવતા ઘણા લોકો બસમાંથી નીચે પડી ગયા હતા. અકસ્માત બાદ આ રોડ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો. બાદમાં અકસ્માતગ્રસ્ત બસને રૂટ પરથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બસને બાજુમાં ખેંચી લીધા બાદ આ રૂટ પર વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.