ટીએમસી ભ્રષ્ટાચારીઓને બચાવે છે, મોદીને દુશ્મન નંબર વન માને છે,વડાપ્રધાન

  • મા, માટી, માનુષના જોરશોરથી ઢોલ પીટતી ટીએમસી સરકારે સંદેશખાલીની બહેનો સાથે ઘટેલી ઘટના અંગે કશુ કર્યું નથી.

કોલકતા, પશ્ર્ચિમ બંગાળમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા બાદ, જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ર્ચિમ બંગાળની ટીએમસી સરકારને નિશાને લીધી હતી. તેમણે કહ્યું કે, ટીએમસીના મુખ્યપ્રધાન ભ્રષ્ટાચારીઓને બચાવવા ધરણા પર બેસી જાય છે. કેન્દ્રની અનેક યોજનાનો અમલ કરતી નથી, પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કાર્યોની આડે રોડા નાખે છે. મોદીને ટીએમસી દુશ્મન નંબર વન માને છે. પરંત મોદી ગાળો અને હુમલાથી ડરે તેવા નથી. ગરીબોને લૂટનારાએ એક એક રૂપિયો પાછો આપવો પડશે. લોક્સભાની આગામી ચૂંટણીથી પશ્ર્ચિમ બંગાળની ટીએમસી સરકારની પડતીનુ કાઉન્ટ ડાઉન શરૂ થશે. સંદેશખાલીની ઘટનાથી સમગ્ર દેશમાં આક્રોશ છે.

વડાપ્રધાન મોદીએ, પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા દીદીને નિશાને લેતા કહ્યું કે, જ્યારે કેન્દ્રની મોદી સરકાર ભ્રષ્ટાચારી સામે પગલા લે છે કાર્યવાહી કરે છે ત્યારે મુખ્યપ્રધાન ભ્રષ્ટાચારીને બચાવવા ઘરણા પર બેસી જાય છે. મોદી મનમાની ચાલવા નથી દેતા તેથી ટીએમસી મોદીને દુશ્મન નંબર વન માને છે. ટીએમસી જે કરે છે તે હુ નહીં કરવા દઉ. બીજાને લુંટવા નહીં દઉ. લૂટારાની પાછળ પડીને પગલાં લેવાશે અને લૂંટવા વાળાએ રૂપિયા પાછા આપવા પડશે. મોદી છોડશે નહી, મોદી ગાળો કે હુમલાથી ડરવાનો કે રોકાવાનો નથી.

સંદેશખાલીની ઘટનાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, મા, માટી, માનુષના જોરશોરથી ઢોલ પીટતી ટીએમસી સરકારે સંદેશખાલીની બહેનો સાથે ઘટેલી ઘટના અંગે કશુ કર્યું નથી. આખો દેશ સંદેશખાલીની ઘટનાને લઈને દુ:ખી અને ગુસ્સે છે.

પશ્ર્ચિમ બંગાળના લોકોને મોદીએ ગેરંટી આપી છે જેમણે ગરીબોને લૂટ્યા છે તેમણે પાછા આપવા જ પડશે. ટીએમસી સરકારના રવૈયાને કારણે પશ્ર્ચિમ બંગાળનો વિકાસ પ્રભાવિત થયો છે. ટીએમસી સરકારને કારણે મયમવર્ગને, ગરીબોને પરિણામ ભોગવવા પડી રહ્યાં છે.

વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધતા કહ્યું કે, ૧૮૦૦૦ કરોડ રૂપિયાના જગદીશપુર હલદીયા પ્રોજેકટ ચાર વર્ષથી પડતર રહ્યો છે. તારકેશ્ર્વરથી વિષ્ણુપુરનો રેલવે પ્રોજેકટ પણ લટક્તો રહ્યો છે. રૂપિયા મંજૂર કર્યા પણ કામ નથી થતું. ટીએમસી ગરિબોના ઘર પણ બનવા નથી દેતી. ૪ કરોડ ગરીબોને પાકા ઘર આપ્યા છે. પરંતુ પશ્ર્ચિમ બંગાળમાં ગરીબોને કેન્દ્રની ભાજપ સરકારે ૪૫ લાખ મકાન સ્વીકૃત કર્યા છે. ૪૨૦૦૦ કરોડ આપ્યા છે પરંતુ ગરીબોના ઘર બનાવવા ઝડપથી કામ નથી કરતી. રુકાવટ પેદા કરે છે. રૂપિયા છે તો ગરીબોના ઘર બનવા જોઈએ પરંતુ ટીએમસી બનાવી નથી રહી. ગરીબોના ઘર બનાવશે તો ભાજપ બનાવશે.

જાહેરસભામાં ઉપસ્થિત મહિલાઓને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, નળ સે જળની સુવિધા દેશમાં આપવામાં આવી છે. પરંતુ પશ્ર્ચિમ બંગાળની સરકાર કાચબાની ઝડપે કામ કરે છે. આમને માફ કરવા જોઈએ કે નહી. જે તમારા ઘરે જળ ના આવવા દે તેમના અન્ન પાણી બંધ કરી દેવા જોઈએ. કેન્દ્ર સરકાર પૈસા આપે છે પરંતુ અહીની સરકાર તેનો ઉપયોગ પણ કરતી નથી તેમ કહ્યું.

મોદીએ દરેક ગરીબ પરિવારને પાંચ લાખ સુધી વિનામૂલ્યે તબીબી સારવાર આપવાની યોજના અમલમાં લાવી છે. પરંતુ ગરીબ, એસસી. એસટી વિરોધી ટીએમસી સરકાર સવા કરોડ પરિવારને લાભ લેવા નથી દેતી. ગરીબોને વિનામૂલ્યે ઈલાજ મળવો જોઈએ પરંતુ ગરીબ વિરોધી ટીએમસી એમ પણ નથી કરવા દેતી. મોદી દેશમાં આપે છે પણ પશ્ર્ચિમ બંગાળમાં ટીએમસીને કારણે નથી આપી રહી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાજપની કેન્દ્ર સરકાર ગરીબ, ખેડૂત, યુવાન અને મહિલાઓને સશક્ત કરી રહી છે. જેના દ્વારા વિકાસ કરી શકાય પરંતુ પશ્ર્ચિમ બંગાળમાં ટીએમસી કેન્દ્રની યોજનાઓનો અમલ થવા દેતી નથી. ટીએમસીને એક નિશ્ર્ચિત વોટબેંકનો ઘંમડ છે. આ લોક્સભાની ચૂંટણીથી પશ્ર્ચિમ બંગાળની સરકારના પરાજયનો કાઉન્ટ ડાઉન શરૂ થશે. આ વખતે લોક્સભાની બેઠકોનો આંક઼ડો ચારસોને પાર થશે.