થાઈલેન્ડની ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, ૨૩ લોકોના મોત

બેંગકોક: મધ્ય થાઈલેન્ડમાં બુધવારે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 23 લોકોના મોત થયાની માહિતી મળી રહી છે. આ અંગે માહિતી આપતા એક બચાવકર્મીએ જણાવ્યું કે, આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.

કહેવામાં આવ્યું છે કે, વિસ્ફોટમાં લગભગ 23 લોકોના મોત થયા છે. થાઈલેન્ડના સેન્ટ્રલ સુફાન બુરી પ્રાંતમાં સ્થાનિક બચાવકર્મીઓ દ્વારા ઓનલાઈન પોસ્ટ કરાયેલા ફોટામાં વિસ્ફોટની જગ્યા સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. જ્યારે સ્થાનિક મીડિયાએ મૃત્યુની જુદી જુદી સંખ્યા આપી છે, જે લગભગ 23 છે.

આ ભીષણ આગ અંગે સ્થાનિક બચાવકર્મીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સ્થળ ખાલી ચોખાના ખેતરમાં હતું અને બિલ્ડિંગનો કાટમાળ અને મૃતકોના શરીરના અંશો આખા વિસ્તારમાં વિખરાયેલા હતા. આ વિસ્ફોટનું કારણ તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. પરંતુ આ ફેબ્રુઆરીમાં આવતા ચીની નવા વર્ષ પહેલા એક મહિના કરતા પણ ઓછો સમય છે. એવું માનવામાં આવે છે કે, તે ફટાકડાના ઉત્પાદન સાથે સંબંધિત છે, કારણ કે તે સમયે ફટાકડાની માંગ ઘણી વધારે છે.

બેંગકોકથી લગભગ 120 કિ.મી. ઉત્તરમાં સુફન બુરી સ્થિત એક ફેક્ટરીમાં બુધવારે બપોરે લગભગ 3.30 વાગ્યે વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં લગભગ સાત લોકો ઘાયલ થયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બચાવ કાર્યમાં લાગેલા લોકોના જણાવ્યા અનુસાર, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવકર્મીઓ જાનહાનિની ​​ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તસવીરોમાં આગ ઓલવાઈ ગયા બાદ કાળા ધુમાડાના ગોટેગોટા હવામાં ઉછળતા જોવા મળ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ગયા વર્ષે જુલાઈમાં દક્ષિણ થાઈલેન્ડમાં ફટાકડાના વેરહાઉસમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને 100 થી વધુ ઘાયલ થયા હતા. થાઈલેન્ડના આપત્તિ નિવારણ વિભાગના જણાવ્યા અનુસાર, નરાથીવાટ પ્રાંતના રહેણાંક વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. જેમાં લગભગ 500 મીટર (1,640 ફૂટ)ની ત્રિજ્યામાં લગભગ 100 ઘરોને નુકસાન થયું હતું. નારથીવાટના ગવર્નરે કહ્યું હતું કે, વેરહાઉસમાં ચાલી રહેલા બાંધકામના કામને કારણે વિસ્ફોટ થવાની સંભાવના છે, મેટલના વેલ્ડિંગમાંથી નીકળેલી સ્પાર્કને કારણે અંદર રાખવામાં આવેલા ફટાકડામાં આગ લાગી અને વિસ્ફોટ થયો.