ટેરર ફંડીંગ પર કાશ્મીરમા એસઆઈએની સર્જીકલ સ્ટ્રાઇક અનેક મિલક્તો જપ્ત

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં સ્ટેટ ઇન્ટેલિજન્સ એજન્સી (એસઆઈએ) દ્વારા ટેરર ફંડીગ ઉપર સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. તે નીચે કુલ ૧૨૫ મિલક્તો જપ્ત કરાઈ છે તે પૈકી એકલાં જમાત-એ-ઇસ્લામની જ ૭૭ પ્રોપર્ટી સમાવિષ્ટ છે. આ પ્રોપર્ટીઓનો ઉપયોગ આતંકીઓને નાણાકીય સહાય પહોંચાડવામાં થતો હતો. આ જપ્ત થયેલી મિલક્તો (નિવાસ સ્થાનો કે દુકાનો) વેચી નહીં શકાય કે ખરીદી પણ નહીં શકાય, કે તેને ભાડે નહીં આપી શકાય કે લીઝ ઉપર પણ આપી નહીં શકાય.

સ્પષ્ટ છે કે તેનો હેતુ તે દ્વારા થતાં ટેરર ફંડીંગની કમર તોડવાનો છે તેમ કહેતાં સાધનો વધુમાં જણાવે છે કે કાશ્મીર ઘાટીમાં સૌથી વધુ મિલક્તો જમાત-એ-ઇસ્લામી જૂથની છે. તેની મિલ્ક્તો નાનાં શહેરો અને ગામોમાં પણ રહેલી છે.

જમ્મુ અને કાશ્મીર અંગેની સંવિધાનની કલમ દૂર કરાયા પછી આ પ્રકારની કાર્યવાહી ઝડપી અને સખત બની છે. પરંતુ તે પૂર્વે પણ આવી જપ્તીઓ થતી જ હતી, પરંતુ તેનું પ્રમાણ ઘણું ઓછું હતું. કાર્યવાહીઓ મંદ હતી.

હવે આ કાર્યવાહીઓ ઝડપી અને એકી સાથે થતાં આતંકીઓને કરાતાં ફંડીંગની શ્રૃંખલા તૂટી ગઈ છે. આતંકી સહાયકોની જમીન નિવાસ સ્થાનો પણ જપ્ત કરાયાં છે દુકાનો વગેરે પર જપ્તીનાં બોર્ડ લગાડાઈ ગયાં છે.જપ્ત કરાયેલી મિલક્તોમાં એક રાઇસ મીલ, કરિયાણાની દુકાન, એક કેમિસ્ટ શોપ વગેરે સમાવિષ્ટ છે. આ સાથે જેહાદ-કાઉન્સીલના ચેરમેન સઇદ સલાહુદ્દીનના પુત્ર અને લશ્કર-એ-તૈય્યાબાના આતંકી આશિક અહમદ નેગારૂએ ગેરકાયદે પચાવી પાડેલ સરકારી જમીન અને તેની ઉપર તેણે બાંધેલું મકાન પણ સ્ટેટ ઇન્ટેલિજન્સ એજન્સીએ જપ્ત કર્યા છે. વાસ્તવમાં આ મકાન અત્યારે ખંડેર થઇ ગયું છે. કારણ કે થોડા દીવસો પૂર્વે જ જિલ્લા પ્રશાસને તે મકાન તોડી પાડયું હતું.

વિશ્લેષકો તો સ્પષ્ટ રીતે માને છે કે મુતિ મહંમદ સૈયદ અને મહેબૂબા મુફ્તીના શાસનકાળ દરમિયાન આતંકીઓ પ્રત્યે રમાયેલી ઢીલી નીતિને લીધે જ આટલી હદે જમ્મુ કાશ્મીરમાં ખાસ કરીને કાશ્મીર ખીણમાં આતંકીઓને ભળતું ભાવી ગયું હતું.પરંતુ હવે તેઓ દરેક સ્થળે માર ખાઈ રહ્યા છે.