તેજ પ્રતાપે પિતા લાલુ યાદવ માટે શ્રીમદ ભાગવત કથાનું કર્યું આયોજન, નીતિશને પણ આમંત્રણ

આરજેડી નેતા તેજસ્વી યાદવ બિહારના રાજકારણમાં અવારનવાર ચર્ચામાં રહે છે. તેઓ આરજેડીના ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. જો કે લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ પણ ક્યારેક તેમની નિષ્ઠા તો ક્યારેક પોતાના રાજકીય નિવેદનોને કારણે ચર્ચાના કેન્દ્રમાં રહે છે. હાલમાં જ તેજ પ્રતાપ યાદવે તેમના પિતા લાલુ પ્રસાદ યાદવ અને પરિવારના ઘરે શ્રીમદ ભાગવત કથાનું પઠન કરાવ્યું હતું.

રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવે આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવના ઘરે શ્રીમદ ભાગવત કથામાં ભાગ લીધો છે. તેજ પ્રતાપ યાદવે કહ્યું કે અમે મારા પિતા, મારા ભાઈ અને સમગ્ર બિહારના લોકોના સ્વાસ્થ્ય માટે આ કથાનું આયોજન કર્યું છે. તેજ પ્રતાપે કહ્યું કે હું ચોથી વખત આ કથાનું આયોજન કરી રહ્યો છું. તેજ પ્રતાપે સીએમ નીતિશને પણ કથા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રીને પણ કહીશ કે તેઓ કથામાં આવવા માંગતા હોય તો આવી શકે છે.

રાજનીતિ સિવાય તેજ પ્રતાપ યાદવ ભગવાન પ્રત્યેની તેમની ભક્તિને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે. થોડા દિવસ પહેલા જ તેજ પ્રતાપ યાદવ દ્વારા શિવલિંગ પર જલાભિષેક કરાવવાનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. મંદિરની અંદર જલાભિષેક સમયે તેજ પ્રતાપ યાદવ શિવલિંગને વળગીને બેઠેલા જોવા મળ્યા હતા. આ પહેલા પણ તેજ પ્રતાપ ઘણી વખત કૃષ્ણ અને મહાદેવના વેશભૂષામાં જોવા મળ્યા છે.