તાઈવાનની આસપાસ ફરી દેખાયા ચીનના ફાઈટર પ્લેન, બંને દેશો વચ્ચે તણાવ વધ્યો

તાઈવાનના રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મંગળવાર અને બુધવારે સવારે લગભગ ૨૬ ચીની ફાઈટર પ્લેન અને ૧૦ યુદ્ધ જહાજ તાઈવાનની સરહદ નજીક જોવા મળ્યા હતા. તાઈવાનના મીડિયા અનુસાર, ૨૬માંથી ૧૯ ફાઈટર પ્લેન્સે ચીન અને તાઈવાનની સરહદને વિભાજિત કરતી મય રેખાને પણ ઓળંગી હતી. ચીનની આ કાર્યવાહીને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે.

તાઈવાનના મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ચીનના ફાઈટર પ્લેનના જવાબમાં તાઈવાને પણ તેના ફાઈટર પ્લેન અને યુદ્ધ જહાજો મોકલ્યા છે. આ ઉપરાંત, તેણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની મિસાઈલ સિસ્ટમને પણ સક્રિય કરી છે, જેથી ચીનની કોઈપણ ઉદ્ધતાઈનો જવાબ આપી શકાય. નોંધનીય છે કે નવા રાષ્ટ્રપતિ લાઈ ચિંગ તેહે ૨૦ મેના રોજ તાઈવાનના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. નવી સરકારની રચના બાદથી ચીનનું વલણ આક્રમક રહ્યું છે અને તેના ફાઈટર પ્લેન અને યુદ્ધ જહાજો સતત તાઈવાનની આસપાસ ઘૂમી રહ્યા છે. ચીનની આ કાર્યવાહીને ઉશ્કેરણી તરીકે જોવામાં આવી રહી છે. હકીક્તમાં, તેમના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન, નવા રાષ્ટ્રપતિ લાઈ ચિંગ તેહે તેમના ભાષણમાં તાઈવાનની સ્વતંત્રતા વિશે વાત કરી, જેનાથી ચીન નારાજ થઈ ગયું. હાલમાં જ ચીની સેનાના વરિષ્ઠ અધિકારી કર્નલ વુ કિયાને કહ્યું હતું કે તાઈવાનની આઝાદીનો અર્થ માત્ર યુદ્ધ છે અને તાઈવાનમાં અલગતાવાદી ગતિવિધિઓને સમર્થન આપતી કોઈપણ વિદેશી હસ્તક્ષેપને સ્વીકારવામાં આવશે નહીં અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ચીનના સૈન્ય અધિકારીએ કહ્યું કે ચીનનું એકીકરણ એક એવી ઘટના છે જેને ટાળી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે અને તેથી જ તે તાઈવાનની આઝાદીનો વિરોધ કરે છે. તાઈવાનમાં નવી સરકાર બની ત્યારથી ચીનની સેનાના ફાઈટર પ્લેન દરરોજ તાઈવાનની સરહદની આસપાસ ફરતા જોવા મળે છે. તાજેતરની ઘટનાને પણ દબાણ બનાવવાની આ જ વ્યૂહરચના સાથે જોડવામાં આવી રહી છે.

Don`t copy text!