ટી ૨૦ વિશ્વકપમાં બેટર સાથે મેદાન પર ઝઘડી પડનારા બોલરને આકરી

હવે ટી૨૦ વિશ્ર્વકપમાં સુપર-૮ નો તબક્કો શરુ થઈ રહ્યો છે. આ પહેલા લીગ તબક્કામાં અનેક ઉતાર ચડાવ અને લો સ્કોલીંગ મેચ ક્રિકેટ ચાહકોએ જોઈ છે. સ્થળ અને મેદાન બદલાતા ખેલાડીઓ હવે પોતાના અસલી રંગમાં બુધવારથી જોવા મળશે. આ દરમિયાન આઈસીસીએ બેટર્સ સાથે ઝઘડી પડનારા બોલરને આકરી સજા સંભળાવી છે. બોલરે આ હરક્ત ગત રવિવારની નેપાળ સામેની મેચમાં બાંગ્લાદેશના બોલરે કરી હતી.

રવિવારે બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચે લીગ તબક્કાની મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન બાંગ્લાદેશના બોલર તંજીમ હસન સાકીબ દ્વારા એક ના ગમતી હરક્ત મેદાન પર કરી હતી. તેણે હરીફ ટીમના બેટર સાથે ગુસ્સામાં આવીને તકરાર કરી હતી. જેને લઈ આઈસીસીએ આ હરક્તને પગલે સજાનો કોરડો વિંઝ્યો છે.

બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચે રમાઈ રહેલી લીગ મેચમાં તંજીમ હસન સાકીબે અશોભનીય હરક્ત કરી હતી. નેપાળની બેટિંગ ઈનીંગ ચાલી રહી હતી, તંજીમે જોશભરી બોલિંગ કરી હતી. ઈનીંગની ત્રીજી આવર દરમિયાન બેટિંગ કરી રહેલા નેપાળના સુકાની રોહિત પૌડેલ સાથે ઝઘડી પડ્યો. હતો. બંને વચ્ચે બોલચાલ સર્જાઈ હતી અને જેને લઈ વીડિયો વાયરલ પણ થયો હતો. બંને વચ્ચેનું ઘર્ષણ વધે એ પહેલા વચ્ચે બચાવ કરવામાં આવ્યો હતો અને મામલો થાળે પાડવા માટે પ્રયાસ કર્યો હતો.

જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આઈસીસીએ સંભળાવેલી સજામાં તંજીમ હસન સાકીબ પર મેચ ફીના ૧૫ ટકા દંડ કરવામાં આવ્યો છે. સાથે જ તંજીમને આઈસીસીએ ફટકાર પણ લગાવી છે. ફિલ્ડ અંપાયર અહસાન રજા, સેમ નોગાજ્સ્કી, થર્ડ અંપાયર જયરામન મદનગોપાલ અને ચોથા અંપાયર કુમાર ધર્મશેનાએ બાંગ્લાદેશના બોલર પર આરોપ લગાવ્યો હતો. જેનો અપરાધ બોલરે સ્વીકાર કરી લીધો હતો.

આઈસીસી દ્વારા આચારસંહિતતા ઘડવામાં આવી છે. જેના અનુચ્છેદ ૨.૧૨ નું ઉલ્લઘન તંજીમે કર્યું છે. જેને લઈ તેની સામે શિસ્ત ભંગની આકરી સજા કરવામાં આવી છે. આ નિયમનુસાર કોઈ ખેલાડી અંપાયર, મેચ રેફરી, સ્પોટ સ્ટાફ અને કોઈ ખેલાડી સાથે અન્ય કોઈ વ્યક્તિ સાથે એટલે કે દર્શક સહિતને અનુચિત વ્યવહાર શારીરિક સંપર્કથી સંબંધિત કરે તો કાર્યવાહી કરવામાં આવે છે. તંજીમે નેપાળ સામે જબરદસ્ત બોલિંગ કરી હતી. તેણે ૭ જ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. તંજીમની શાનદાર બોલિંગને લઈ નેપાળને બાંગ્લાદેશે હરાવ્યું હતુ. બાંગ્લાદેશનો વિજય ૨૧ રનથી થયો હતો.