માંગરોળમાં યુવતીનું છરીથી ગળું કપાતાં મોત:પ્રેમીએ જ હત્યા નિપજાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યાની પોલીસને આશંકા, ઘટનાસ્થળેથી ચપ્પુ અને બ્લેડ મળી આવી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી પ્રેમીયુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના ગળા પર ગંભીર ઘા થયો હોવાના કારણે તે હાલ બોલી પણ શકતો નથી. યુવક અને યુવતી સવારના સમયે એક્ટિવા પર સાથે ગયા હતા ત્યારબાદ કોઈ કારણોસર બંને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળ પરથી એક છરી અને બ્લેડ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જ પ્રેમી યુવકે જ પ્રેમિકાની હત્યા નિપજાવી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યાની આશંકા વ્યકત કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાની તપાસ હાલ માંગરોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી જે ચપ્પુ મળ્યું છે તે વળી ગયું છે. જેથી પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, કદાચ સુરેશે તેજસ્વીની હત્યા કરી હોય શકે. કારણ કે, તેજસ્વીના મૃતદેહની તપાસ કરતા, તેના ગળાના ભાગે હોલ હોવાનું પણ દેખાઈ આવ્યું છે. તેજસ્વી ગુજરાતી ભાષામાં ગ્રેજ્યુએશન કરી રહી છે અને બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ચપ્પુની સ્થિતિ જોતા, પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

તેજસ્વીની કોલેજમાં આજે એન્યુઅલ ફંકશન હતું સુરેશ એક દિવસ પહેલાથી જ વાંકલમાં રહેવા માટે આવ્યો હતો. બારડોલી નજીક ગંગાધરા વિસ્તારમાં સુરેશ રહેતો હતો, પરંતુ એક દિવસ પહેલા જ તે વાંકલ આવ્યો હતો અને પોતાના મિત્રના ઘરે રોકાયો હતો. રાત્રે જમ્યા પછી, તે પોતાના મિત્રના ઘરે સુઈ ગયો હતો. મિત્ર ઘરે પહોંચે, તે પહેલા જ સુરેશ સુઈ ગયો હતો, અને મિત્ર સવારે ઊઠે, તે પહેલા જ તે મિત્રના ઘરેથી નીકળી ગયો હતો. તેજસ્વીની કોલેજમાં આજે એન્યુઅલ ફંકશન હોવાથી, તે કોલેજ જવા માટે નીકળી હતી અને કોલેજ જવા પહેલા તે સુરેશને મળવા પહોંચી હતી.

સુરેશ બોલી શકતો ન હોવાથી મોબાઇલમાં ટાઇપ કરીને પરિવારના નંબર આપ્યા, પોલીસે પૂછતાં ઈશારામાં જણાવ્યું કે પહેલા યુવતીએ પોતાનું ગળું કાપ્યું, પછી પોતે પોતાનું ગળું કાપ્યું. પોલીસે પરિવારનો સંપર્ક કરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવ્યા.

તેજસ્વીને તેના પિતાએ સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી યુવતી તેજસ્વીનું મોત નિપજ્યું છે. હાલ પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે સુરેશ જોગી અને તેજસ્વી શાળા સમયથી એકબીજાને ઓળખતા હતા. સુરેશ મજૂરીનું કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં ભણતી હતી. બંને એકબીજાને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં આ પણ જાણવા મળ્યું છે કે તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ નહોતા અને તેઓએ તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેજસ્વીના પિતા સાથે પણ હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે.

સુરત ગ્રામ્ય પોલીસના કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું કે, એક યુવતીનું મોત નિપજ્યું છે અને એક યુવકના ગળાના ભાગે ગંભીર ઇજા છે. આ જાણ થતાં જ સુરત માંગરોળ પોલીસ વાંકલ-બોરીયા માર્ગ પર પહોંચી. ત્યાં જોતાં એક યુવતીના ગળા પર ચપ્પુના ઘા થવાથી તેનું મોત થયું હતું, જ્યારે એક યુવકના ગળા પર ગંભીર ઈજાઓ થઈ હતી. જેનાથી તે તડપી રહ્યો હતો. યુવકને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો. બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ આ ઘટના કેવી રીતે બની તેની તપાસ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

ઇજાગ્રસ્ત યુવક સુરેશ જોગીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરેશે ચપ્પુ વડે પોતાના ગળા પર ગંભીર ઈજા કરી હતી; લગભગ ત્રણ ઇંચ જેટલો ઘા તેના ગળા પર હતો. ડોક્ટરે તાત્કાલિક સારવાર શરૂ કરી. સુરેશ જોગીની સ્વરપેટી કપાઈ ગઈ હતી, જેથી તે કશું કહેવાની સ્થિતિમાં નહોતો. તેને તાત્કાલિક સર્જરી માટે મોકલવામાં આવ્યો. આ દરમિયાન, પોતાના મોબાઈલથી તે ડોક્ટરને ઘટના અંગે જણાવી રહ્યો હતો.

ઘટનાની જાણ થતાં, સુરત ગ્રામ્ય પોલીસના સુપરિન્ટેન્ડન્ટ હિતેશ જોયસર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, સવારે નવ વાગ્યાના અરસામાં વાંકલ ગામથી 500 મીટર દૂર યુવક અને યુવતીને ગળાના ભાગે ઈજા થઈ હતી. પોલીસને જાણ થતાં, પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. યુવતીનું મૃત્યુ થયું છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ઈજાગ્રસ્ત યુવક હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, અને તેની સારવાર ચાલી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બંને સાથે ભણતા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘટના બન્યા પહેલા બંનેના મોબાઈલ પર વાત થયેલી હતી. બંને એકબીજાને વાંકલ ખાતે મળવા આવ્યા હતા અને સાથે બેઠા હતા. તેમના વચ્ચે શું બન્યું, કોઈ અણબનાવ હતો કે નહીં, તમામ વિગતો પોલીસે એકત્ર કરી રહી છે. આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને ત્યાં એક ચપ્પુ અને બ્લેડ મળ્યા.

સિવિલ હોસ્પિટલની ડોક્ટર આરતીએ જણાવ્યું હતું કે, સવારે 10:30 વાગ્યે આ દર્દીને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. દર્દી હાલ બોલી શકે તેવી સ્થિતિમાં નથી, કારણ કે તેની સ્વરપેટી કપાઈ ગઈ છે. તેને તાત્કાલિક સર્જરી માટે મોકલવામાં આવ્યો છે, અને ત્યાં તેની સારવાર થશે.

સુરેશના માતાપિતાએ કહ્યું- ‘શું થયું તે અમને ખબર નથી’ સુરેશની માતા મીનાબેનએ જણાવ્યું હતું કે, “શું ઘટના બની છે, તે અંગે મને કંઈ ખબર નથી. અત્યાર સુધી મેં તેનું મોં પણ જોયું નથી. મારો છોકરો મજૂરી કામ કરે છે.” સુરેશના પિતા કાલિદાસે જણાવ્યું હતું કે, “મારો છોકરો ઘરે હતો. ઘરેથી બાઈક લઈને નીકળ્યો પછી શું થયું એ અંગે અમને જાણ નથી. આ ઘટના કેવી રીતે બની, તે મને ખબર નથી. હું મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવું છું.”