સુરતના કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ:એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા મહિલાઓ રણચંડી બની, દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માગ સાથે પોલીસ સ્ટેશન ઘેર્યું

આ સુરતમાં હવે કેમ રહેવું?…આ એટલા માટે કહેવું પડે છે કેમ કે કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને ચાર બહેનોના એકના એક ભાઈની એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી છે.

વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માગ્યા હતા. પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હોવાથી આપવાનો ઈન્કાર કર્યો હતો. આ નશાખોર આટલેથી નહોતો અટક્યો તેણે આગળ જઇ રિક્ષાચાલકને પણ ક્યાંક મુકી જવા જણાવ્યું. પરંતુ રીક્ષા ચાલકે ઈન્કાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા. હાલ રિક્ષાચાલક પણ સારવાર હેઠળ છે. હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આ ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો હતો. બાદમાં માંડ માંડ મોડીરાત્રે 2 વાગ્યે થાળે પડેલો મામલો ફરી આજે(15 એપ્રિલ, 2025) બપોરે ઉગ્ર બન્યો છે. મોટી સંખ્યાં મહિલા કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. અહીં પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી.

મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચતા માહોલ તંગ

દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે બંધ કરી રહ્યા છે. આ સાથે જ 17 વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ ઘટનાસ્થળે મહિલાઓ સાથે જઈ રહી છે.

પરિવારના એકના એક દીકરાની હત્યા

મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ ક્રિષ્નાનગરમાં અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહે છે. અરવિંદભાઈને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર પરેશ (ઉં.વ.17) છે. અરવિંદભાઈ ફ્રુટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અરવિંદભાઈનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં સરીન વિભાગમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.