સુરત: પ્રેમીએ સુતેલી પ્રેમિકાને જીવતી સળગાવીને કરી હત્યા

સુરત, શહેરના ક્તારગામ વિસ્તારમાં પ્રેમનો કરુણ અંજામ આવ્યાની ઘટના સામે આવી છે. શંકાશીલ પ્રેમીએ સુતેલી પ્રેમિકા પર કેરોસીન નાંખીને સળગાવી દીધી છે. પ્રેમીએ જ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાંખી છે. પોલીસે પ્રેમી યુવાનને ગણતરીના કલાકમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમીએ તેની પ્રેમિકાને કેરોસીન છાંટી ગત રાત્રીના સમયે સળગાવી દીધી છે. ઘટનાની વિગતે વાત કરીએ તો, મૂળ રાજસ્થાનનો અને હાલ સુરતમાં છૂટક મજૂરી કામ કરી શંભુ આડા પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ સમયમાં તેને રાધા નામની એક પરણિત મહિલા સાથે પ્રેમ થયો હતો. આ બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ પાંગર્યો હતો. પરંતુ કહેવાય છે ને કે, સંબંધોમાં જ્યારે પણ વહેમ વચ્ચે આવે ત્યારે તે સંબંધ તૂટી જતો હોય છે. આવું જ કઈક આ ઘટનામાં પણ બન્યું છે.

સુરતના ક્તારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી પાસે આવેલા એક કોમ્પલેક્ષ પાસે તેઓ રહેતા હતા. ત્યારે શંભુને એવું લાગ્યું કે તેની પ્રેમિકા રાધા કે જેની સાથે તે લીવ ઈનમાં રહેતો હતો. તે અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે. આવો વહેમ શંભુને થઈ જતા શંભુએ પ્રેમિકાનું કાસળ કાઢવાનું નક્કી કરી લીધુ. પરંતુ ઘટનાને કેમ અને કેવી રીતે અંજામ આપવો તે અંગે વિચારી રહ્યો હતો.

ગઈકાલે રાત્રિના સમયે આશરે ૨.૦૦ વાગ્યાની આસપાસ શંભુને આ મોકો મળી ગયો તેણે પ્રેમિકાને સળગાવવાનો પ્લાન કર્યો. છેલ્લા ૮ વર્ષથી તે રાધા સાથે પ્રેમમાં હતો. તેણે કરેલા પ્લાન પ્રમાણે, રાત્રિના સમયે ક્યાંકથી કેરોસીન લાવીને રાધા જ્યારે સૂતી હતી ત્યારે તેની ઉપર કેરોસીન છાંટીને તેને સળગાવી દીધી હતી. રાધા જ્યારે સળગાવી ત્યારે પ્રથમ તો આ ઘટના આગની લાગી હતી પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરતા આ ઘટના હત્યાની હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે તાત્કાલિક ઘટના સ્થળેથી રાધાને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. જોકે સારવાર દરમિયાન રાધાનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.