સુરતના ક્તારગામમાં જ્વેલર્સની દુકાનમાં સોના સાથે માલિક પણ ગુમ ! પોલીસ બે ફરિયાદ નોંધી

સુરત,સુરતના ક્તારગામમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. સુરતમાં એક જ્વેલર્સની દુકાનમાંથી સોના સાથે જ્વેલર્સના માલિક ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. જ્વેલર્સના માલિકે દુકાનમાં સોનું મુકેલુ હતુ. સોનું પણ ગાયબ થયુ હોવાથી ચોરીની ફરિયાદ નોંધાઈ છે. ચોકબજાર પોલીસે બે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

ગઇકાલે એટલે કે ૪ મે ૨૦૨૩ના રોજ પ્રસંગમાં જવાનું હોવાથી જ્વેલર્સના માલિક બપોરે દુકાન બંધ કરીને ગયા હતા. જેના થોડા કલાકો બાદ કારીગર આવ્યો ત્યારે દુકાન ખુલ્લી હતી, પરંતુ દુકાનમાંથી સોનું ગાયબ હતું. જે પછી કારીગરે માલિકની શોધખોળ હાથ ધરી હતી, તો માલિક પણ ગાયબ હોવાનું સામે આવ્યું હતુ. સમગ્ર ઘટનાની જાણ થતા જ ચોક બજાર પોલીસ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસના કાફલાએ સોની વેપારી અને દુકાનમાંથી ગાયબ સોનાની તપાસ હાથ ધરી છે. જો કે કોઈ અજાણ્યા શખ્સોએ વેપારીને સોના સાથે ગાયબ કર્યો કે વેપારી જ ક્યાંક ચાલ્યો ગયો તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી.