
સુરત,સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ પતિ, સાસુ-સસરા બે જેઠ અને બે જેઠાણી સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં હિંદુ યુવતીએ વિધર્મી યુવક સાથે માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. બાદમાં યુવતીને ધર્મપરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ પરિણીતા લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં પરિવાર સાથે રહેવા ગઈ હતી. જ્યાં પરિણીતાને બે માસ સુધી સારી રીતે રાખી હતી. બાદમાં બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. એટલુ જ નહીં મહિલાને મંદિરમાં જવાની ના પાડવામાં આવી હતી. દરમિયાન પતિ જેલમાં જતા પરિણીતાના બે જેઠ મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધી શારીરિક શોષણ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઇને પતિને ફરિયાદ કરતા પિયર મોકલવાની ધમકી આપી માર માર્યાનો પરિણીતાએ આરોપ લગાવ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
મળતી જાણકારી અનુસાર, સુરતના હજીરામાં ૨૮ વર્ષીય યુવકને હાર્ટ અટેક આવતા મોત થયા હતા. ૨૮ વર્ષીય રાહુલ સિંગ હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો હતો. ઘરમાં અચાનક તબિયત લથડતા મિત્રોને ફોન કર્યો હતો. જે બાદ મિત્રો સ્થળે દોડી આવ્યા અને ૧૦૮ને જાણ કરાઈ હતી. તો ૧૦૮ના કર્મચારીએ યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા હજીરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકનો મૃતદેહ પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ યુવકનું મોતનું કારણ સ્પષ્ટ થશે.
સુરતના કીમ વિસ્તારમાં આશિયાના નગરમાં રાત્રીના સમયે ઓટલા પર બેસવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. બોલાચાલીમાં વાત વણસી અને જોતજોતામાં બે જૂથના લોકો વચ્ચે મારામારી થઇ હતી. મારામારીની ઘટના અંગે જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને સ્થિતિ થાળે પાડી હતી. પોલીસે મોડીરાત્રે બંને પક્ષની સામાસામી ફરિયાદ નોંધી અને ૮ આરોપીની ધરપકડ કરી હતી. મારામારીનો આ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો.