સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મામલે અત્યાર સુધીમાં ૩૩ની ધરપકડ

ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. લોકો બાપ્પાની આસ્થામાં લીન છે. આવા સંજોગોમાં સુરતના સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને પગલે વાતાવરણ ગરમાયું હતું. જે બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો.

મળતી માહિતી મુજબ ગુસ્સે ભરાયેલા લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધી હતી. આ ઘટના બાદ ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અહીં તેમણે કહ્યું કે આરોપીઓને છોડવામાં આવશે નહીં અને પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી.

પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ હંગામા દરમિયાન લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને જરૂર જણાય ત્યાં ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શાંતિ ભંગ કરનારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર છ લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ તમામ ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આવી ઘટનાને પ્રોત્સાહન આપવા માટે સામેલ અન્ય ૨૭ લોકોની પણ ધરપકડ કરી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ તૈનાત છે. શાંતિ ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.

સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે અથડામણ થઈ હતી. પોલીસે તેમને તરત જ ત્યાંથી હટાવ્યા હતા. વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જરૂર જણાય ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો. શાંતિ ભંગ કરનારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ચારે બાજુ લગભગ ૧૦૦૦ પોલીસકર્મીઓ તૈનાત છે.