સુપ્રીમે આંગણવાડી વર્કર અને હેલ્પરોને કર્મચારી તરીકેના લાભો આપવાના આદેશ

નવીદિલ્હી, આંગણવાડીની બહેનોની મોટી જીત થઈ છે અને સરકારને હાર મળી છે. સુપ્રીમ કોર્ટે આંગણવાડીને બહેનોને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકદામાં કોર્ટે કહ્યું કે આંગણવાડીના વર્કર અને હેલ્પરને હવે કર્મચારી ગણવા તેમજ તમામ વર્કરને ગ્રેચ્યુટીના લાભ આપવા. આ ચુકાદા બાદ આંગણવાડી વર્કર તરીકે કાર્ય કરતી ગુજરાત સહિત દેશની અન્ય લાખો બહેનોના જીવન ધોરણમાં મોટો બદલાવ આવશે.

સુપ્રીમ કોર્ટમાં આંગણવાડી બહેનોના મુદ્દાને લઈને ૨૫ એપ્રિલ, ૨૦૨૨ના રોજ પિટિશન દાખલ કરાઈ હતી. આ પિટિશનની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આંગવાડીની બહેનોને કર્મચારી હોવાના હકનો આદેશ આપતા ગુજરાત સરકારની પુન:વિચારણાની અરજીને ફગાવી. આ સાથે કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ જણાવ્યું કે આઇસીડીએસને પ્રોજેક્ટના બદલે એક સંસ્થા તરીકે ગણતરી કરી તે મુજબના લાભો આપવા. તેમજ માનદ વેતનને વેતન તરીકે જ ગણવું. કોર્ટેના આ ચુકાદા બાદ સરકારને લાખો આંગણવાડી બહેનોને ફરજીયાત ગ્રેચ્યુઇટી ચૂકવવી પડશે.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં વર્કરોના પ્રશ્ર્નોને લઈને ૨૦૨૨માં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશન મુજબ આંગણવાડી વર્કર અને હેલ્પરોને કર્મચારી તરીકેના લાભો આપવાના આદેશ આપ્યા હતા. જેમાં પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ લાગુ પાડવા તેમજ નિવૃત્ત થયેલ રાજીનામું આપેલા કે અવસાન પામેલા વર્કર હેલ્પરને અન્ય કર્મચારીઓની જેમ ગ્રેચ્યુઈટી ચૂકવવા જણાવ્યું હતું. કોર્ટના આ આદેશ સામે ગુજરાત સરકારે ૭ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ પુન:વિચારણાની અરજી કરી હતી. જેના પર સુનાવણી કરતા સુપ્રીમકોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની બેંચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરતા આંગણવાડી કાર્યકરોને કર્મચારી તરીકે ગણવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો.