સુનિતા વિલિયમ્સ ૨૦૨૫ સુધી પાછી નહીં ફરી શકે,આઇએસએસ પર ખોરાક-પાણીની સુવિધા ઉપલબ્ધ છે

બોઇંગની નવી સ્ટારલાઇનરને જૂનમાં પ્રથમ પરીક્ષણ માટે સુનિતા વિલિયમ્સ અને બેરી બુશ વિલ્મોર સાથે અવકાશમાં મોકલવામાં આવી હતી. આ બંને અવકાશયાત્રીઓને એક અઠવાડિયામાં પૃથ્વી પર પાછા ફરવાનું હતું. જો કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઉતર્યા પછી, સ્ટારલાઈનર કેપ્સ્યુલમાં થ્રસ્ટર ફેલ્યોર અને હિલીયમ લીક જેવી ખામીઓ થઈ હતી. આ ખામીઓને કારણે, બંને અવકાશયાત્રીઓનું પૃથ્વી પર પાછા ફરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું અને હવે તેમના વહેલા પરત આવવાની આશા પણ ઠગારી નીવડી રહી છે.

માહિતી અનુસાર, નાસા હવે આ બંને અવકાશયાત્રીઓને પાછા લાવવા માટે નવા વિકલ્પ તરીકે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. સ્પેસએક્સ ડ્રેગન એક પરીક્ષણ કરાયેલ પુન:ઉપયોગી અવકાશયાન છે. આનો અર્થ એ છે કે સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરે ઓછામાં ઓછા ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી આઇએસએસ પર રહેવું પડશે. કારણ કે ડ્રેગનનું આગામી મિશન મુલતવી રાખવામાં આવ્યું હતું.

હવે આ મિશનની સ્થિતિને લઈને અનેક ચિંતાજનક સવાલો ઉભા થઈ રહ્યા છે. બંને અવકાશયાત્રીઓની તબિયત પણ એક મોટો મુદ્દો છે. આ સિવાય આગામી ૬ મહિના સુધી પર આ બંને અવકાશયાત્રીઓ માટે કેવા પ્રકારની તૈયારીઓ છે. અહેવાલો અનુસાર,આઇએસએસ પર માઇક્રોગ્રેવિટીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી, સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ઓછી હાડકાની ઘનતા , દ્રષ્ટિની સમસ્યાઓ અને ડીએનએ નુક્સાનને કારણે કેન્સરનું જોખમ હોઈ શકે છે . તમને જણાવી દઈએ કે આ તમામ કારણોને લીધે અવકાશ સંશોધન મિશન ટૂંકા ગાળાના રાખવામાં આવે છે.

૬ મહિના સુધી અવકાશયાત્રીઓના રોકાણને સમાવવા માટે આઇએસએસ કેટલું સક્ષમ છે? આ પ્રશ્ર્નનો જવાબ હા છે. તમને જણાવી દઈએ કે આંતરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન નિ:શંકપણે આ અવકાશયાત્રીઓની તમામ જરૂરિયાતો માટે દરેક રીતે સક્ષમ છે.આઇએએસએસએ એક વિશાળ જગ્યા સુવિધા છે અને તેની લંબાઈ ૩૫૬ ફૂટ અથવા ૧૦૯ મીટર છે, જે લગભગ અમેરિકન ફૂટબોલ સ્ટેડિયમ જેટલી છે. અહીં રહેવાનો અને કામ કરવાનો વિસ્તાર ૬ બેડરૂમના ઘર જેટલો છે.

આઇએસએસ પર ઓક્સિજન-જનરેશન એકમો છે, જે અવકાશયાત્રીના શ્ર્વાસમાંથી ઓક્સિજન એકત્રિત કરવામાં સક્ષમ છે. પાણીની વાત કરીએ તો આઇએસએસ પર એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા અવકાશમાં ભેજ એકઠો થાય છે અને પાણીમાં રૂપાંતરિત થાય છે. આ ઉપરાંત, એક ઉપકરણ પણ છે જે પેશાબને શુદ્ધ કરે છે અને તેને પીવાના પાણીમાં ફેરવે છે.હાલમાં વિલિયમ્સ અને વિલ્મોરને ખોરાક, કપડાં કે અન્ય પાયાની જરૂરિયાતોની અછતનો સામનો કરવો પડતો નથી. પરંતુ તેનું પૃથ્વી પર પરત ફરવું અત્યારે ચોક્કસપણે અનિશ્ર્ચિત છે.