સોમનાથમાં બે દિવસ તંત્રનું બુલડોઝર ફરશે ; પોલીસનો જડબેસલાક બંદોબસ્ત : 70ની અટકાયત

જગવિખ્યાત સોમનાથ મંદિર નજીક વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં છથી વધુ ધાર્મિક સ્થળો સહિતનાં અસંખ્ય દબાણો જેસીબી, હિટાચી મશીનો, ડમ્પરો સહિતનાં સાધનો સાથે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ઈતિહાસના સૌથી મોટું કહી શકાય એવા આ મેગા ડિમોલિશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયા, એસપી મનોહરસિંહ જાડેજા સહિતના મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી સ્થળ ઉપર હાજર રહી ડિમોલિશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યાં છે. ત્યારે બે દિવસ ચાલનારા આ ડિમોલિશનને લઈ કલેક્ટર દ્વારા ભારતીય ન્યાય સંહિતા 223 લાગુ કરી ચાર વ્યક્તિઓના એકઠાં થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ગત રાત્રિથી સોમનાથ મંદિર આસપાસનાં ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતાં મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. એ પરિસ્થિતિને લઈ તંત્રએ રાત્રિના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડ્યા હતા. બાદમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઇ.જી નિલેશ ઝાંઝડિયા, પોલીસવડા મનોહરસિંહ જાડેજા ઉપરાંત 3 SP, 6 Dy.SP, 50 PI તથા PSI સહિત ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર ત્રણ જિલ્લાનો 1200 જવાનના પોલીસ સ્ટાફ ઉપરાંત બે SRP કંપનીનો બંદોબસ્ત તહેનાત કરી કામગીરી શરૂ કરાવી હતી.

સોમનાથમાં ચાલી રહેલા મેગા ડિમોલિશનને લઈ અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસપાટણ શહેરી વિસ્તારમાં 4(ચાર) કે તેનાથી વધારે વ્યક્તિઓના એકઠાં થવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું 28/09/2024થી 30/09/2024 સુધીનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 તથા આઈ.ટી. એકટની કલમ-66(એ) મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરાશે.

આ સ્થળો પર ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ

  • હાજી મંગરોલીશા પીર
  • હઝરત માઇપુરી
  • સિપે સાલાર
  • મસ્તાનશા બાપુ
  • જાફર મુઝાફર
  • ઇદગાહ

આજે સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનની વહેલી સવારે પાંચ વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહીમાં 30 જેસીબી, 5 હિટાચી, 50 ટ્રેક્ટર અને 10 ડમ્પર સહિતનાં સાધનો મારફત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ ત્યારે 70થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ કામગીરી વેળાએ વહીવટી રેવન્યુ, વીજ, પીડબ્લ્યુડી સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સ્ટાફને પણ સ્થળ ઉપર તહેનાત કરવામાં આવ્યા છે.

આ ડિમોલિશનની કામગીરીને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે સવારથી જ દબાણોવાળાં સ્થળને ચારેય તરફથી પોલીસ છાવણીમાં ફેરવી કોર્ડન કરી દેવામાં આવ્યાં હતાં, જેમાં ભીડિયા સર્કલ તથા સોમનાથના ગુડલક સર્કલના બન્ને તરફના એન્ટ્રી પોઈન્ટો તથા રસ્તા પર ઠેર-ઠેર બેરિકેડ્સ મૂકીને પોલીસ સ્ટાફ તહેનાત કરીને લોકોની અને વાહનોની અવરજવર બંધ કરાવી છે. વેરાવળ-સોમનાથ શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટો ઉપર SRP અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે.