સુશાંતના મોતના અઢી વર્ષ બાદ પણ ફ્લેટ ખાલી: લોકો આ ઘરમાં આવતા ઘણાં જ ડરે છે

મુંબઈ,

સુશાંત સિંહ રાજપૂતના મોતને અઢી વર્ષ જેટલો સમય થઈ ગયો છે. જોકે, જે ફ્લેટ સુશાંત મૃત અવસ્થામાં મળી આવ્યો હતો તે ફ્લેટ ખાલી છે. હજી સુધી આ ફ્લેટ કોઈએ ભાડે લીધો નથી. જ્યારે લોકોને જાણ થાય છે કે આ ફ્લેટ માં સુશાંત મૃત અવસ્થામાં મળી આવ્યો હતો ત્યારે તેઓ ઘર જોવા પણ આવતા નથી. હાલમાં જ મુંબઈ બેઝ્ડ રિયલ એસ્ટેટના બ્રોકરે કહ્યું હતું કે સારું લોકેશન હોવા છતાં લોકો આ ફ્લેટ માં આવતા ડરે છે.

રફીકે કહ્યું હતું કે મહિને પાંચ લાખનું ભાડું છે અને છ મહિનાની ડિપોઝિટ એટલે કે ૩૦ લાખ રૂપિયા આપવાના થશે. આ બિલ્ડિંગમાં કોઈ ફિલ્મ સ્ટાર રહેતા નથી. બિલ્ડિંગના ચેરમેન તથા સેક્રેટરીએ કોઈ કડક નિયમો બનાવ્યા નથી. સુશાંતના મોત પહેલા જે નિયમો હતા, એ જ નિયમો આજે પણ છે.

રિયલ એસ્ટેટ બ્રોકર રફીક મર્ચન્ટે હાલમાં જ સો.મીડિયામાં ફ્લેટ ની તસવીરો ને વીડિયો શૅર કર્યો હતો. મીડિયાએ જ્યારે સવાલ કર્યો કે આ ફ્લેટ સુશાંતનો હતો? તો રફીકે હા પાડી હતી.આ ઉપરાંત રફીકે એમ કહ્યું હતું કે આ લેટને હજી સુધી કોઈ ભાડુઆત મળ્યા નથી. જ્યારે પણ કોઈ ફ્લેટ જોવા આવે અને ભૂતકાળ જાણે એટલે ચોખ્ખી ના પાડી દે છે. લોકો આ ફ્લેટમાં આવતા ડરે છે.

રફીકે એમ પણ કહ્યું હતું કે માલિક હવે કોઈ પણ ફિલ્મસ્ટાર્સને ઘર ભાડે આપવા માગતા નથી. લેટ ઓનર એનઆરઆઇ છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ ફ્લેટ કોઈ કોર્પોરેટ સેક્ટર સાથે જોડાયેલી વ્યક્તિને જ ભાડે આપવામાં આવે. રફીકે વધુમાં ઉમેર્યું હતું કે પહેલાં તો લોકો આ ફ્લેટ જોવા પણ આવતા નહોતા, પછી ધીમે ધીમે ભાડે લેવામાં રસ બતાવી રહ્યા છે. જો કોઈ ભાડે લેવા તૈયાર થાય તો પરિવાર ના પાડી દે છે અને આ જ કારણે હજી સુધી કોઈ ડીલ ફાઇનલ થઈ નથી.

ઉલ્લેખનીય છે કે ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ સુશાંત સિંહ રાજપૂત આ જ ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. ત્યારથી આ ફ્લેટ ખાલી છે. દરિયા કિનારે આવેલા આ અપાર્ટમેન્ટમાં ચાર રૂમ છે, એક હોલ તથા ડ્રોઇંગ રૂમ છે. સુશાંત દર મહિને ૪.૫૧ લાખ રૂપિયા ભાડું આપતો હતો.